પાટણ, 15 જૂન (હિ.સ.) 2 જૂનના રોજ સિદ્ધપુર તાલુકાના નેદરા ગામમાં આવેલી આતિશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીમાં કામ કરતા 25 વર્ષીય બલરામ પાસવાન ETO મશીન સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે મશીનમાંથી ગેસ લીકેજ થયું હતું. ગેસને વિખેરવા માટે બલરામે નજીકથી ટેબલ પંખો લાવ્યો અને તેને ચાલુ કરતાં જ શોર્ટ સર્કિટ થયો જેના કારણે ફેક્ટરીમાં આગ લાગી હતી.
આ આગની ઘટનામાં બલરામ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. દુર્ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું માહોલ જોવા મળ્યો હતો.
મૃતક બલરામ બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના કુવારી તાલુકાના બસનપુર ગામના વતની હતા અને હાલમાં નેદરા ગામમાં આતિશ ફેક્ટરી નજીક રહેતા હતા. ઘટનાની જાણ થતાં તેમના 58 વર્ષીય પિતા બ્રહ્મદેવ પાસવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર