પોરબંદર, 16 જૂન (હિ.સ.) : ગત તા. 12/06/2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે નીકળેલું પ્લેન ટેકઓફના માત્ર 2 મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં મેડિકલ કોલેજ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું જેમાં 250 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે ગત રવિવાર તા. 15 જૂનના રોજ મહાપરિષદ યુવા સંઘ દ્વારા આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પ્લેન ક્રેશ ની દુઃખદ ઘટનાનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી કારણકે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે શબ્દો પણ વામણા પૂરવાર થાય તેમ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત, તે વિમાનમાં મુસાફરી કરી રહેલાં મોટા ભાગના મુસાફરોનું દુઃખદ નિધન થયું છે.
બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં ઘણાં આશાસ્પદ ડૉક્ટરો પણ આપણે ગુમાવ્યા છે. કાળચક્ર નિર્દય થઈને ગુજરાત પર મોત બનીને ત્રાટક્યું છે. પરમકૃપાળુ પરમાત્મા સદગત રૂપાણીજી, ડૉક્ટરો, અને અન્ય મૃતકોના આત્માને પરમ શાંતિ આપે તેવી હૃદય પૂર્વક પ્રાર્થના તેમજ સદગતના પરિવાર જનોને આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે, તેવી હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ તા.15/06/2025 રવિવાર સ્ટેશન રોડ તન્ના હોલ પોરબંદર ખાતે પાઠવાઈ હતી. પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ અર્પણ માં ખાસ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા ,લોહાણા મહાજન ના સેક્રેટરી રાજુભાઈ લાખાણી, રાણાવાવ લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ રાજાણી, જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી, લોહાણા મહાજન ના અગ્રણી પરિમલભાઈ ઠકરાર અને ગોવિંદાભાઈ ઠકરાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ, જશ દતાણી, ભાવેશ કોટેચા, મીત વિઠલાણી, કુશાલ લાખાણી જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya