પાટણ, 15 જૂન (હિ.સ.)વઢિયાર પરગણા વણકર સમાજે સમી ખાતે છાત્ર ભુવનમાં લાઇબ્રેરી અને કોચિંગ ક્લાસિસની નવી પહેલ શરૂ કરી છે. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે સમાજની દીકરીઓ દ્વારા રિબન કાપીને અને પ્રતિનિધિઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરના ફોટાને ફૂલહાર અર્પણ કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રોકડ અને વસ્તુ સ્વરૂપે યોગદાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના વડીલો અને સ્નેહીજનોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
સમાજના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીગણને તમામ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાનું આશ્વાસન આપ્યું હતું. વઢિયાર પરગણાના 61 ગામોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ નવી પહેલના કારણે સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં નોંધપાત્ર મદદ મળશે અને શૈક્ષણિક વિકાસ માટે સારો માહોલ ઊભો થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર