પાટણમાં 143મી રથયાત્રા: 21 જૂનથી, ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ
પાટણ, 16 જૂન (હિ.સ.) પાટણના જગન્નાથ મંદિરમાં 27 જૂનના રોજ 143મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે. આ રથયાત્રા પહેલા 21 જૂનથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યે સ
પાટણમાં 143મી રથયાત્રા: 21 જૂનથી ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી શરૂ


પાટણ, 16 જૂન (હિ.સ.)

પાટણના જગન્નાથ મંદિરમાં 27 જૂનના રોજ 143મી ભવ્ય રથયાત્રા યોજાવાની છે. આ રથયાત્રા પહેલા 21 જૂનથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી છે.

21 જૂને ભગવાન જગન્નાથ સમક્ષ કેરીનો મનોરથ યોજાશે. 22 જૂને સવારે 9 વાગે આનંદ સરોવર પાસેના, ગણેશ આશ્રમથી જલયાત્રા શરૂ થશે અને પુનઃ મંદિર ખાતે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જલાભિષેક અને 11 વાગે નેત્રોત્સવ યોજાશે. 23 જૂને સાંજે 4થી 6 વાગે ભૈરવ મંડળ અને રાત્રે 8થી 10 વાગે જગન્નાથજી મંડળ ભજન કાર્યક્રમ રજૂ કરશે. 24 જૂને રાત્રે 8થી 10 સુધી પીડારિયાવાડ આનંદ ગરબા મંડળ દ્વારા ગરબાનું આયોજન થશે.

25 જૂને સવારે 10 વાગે ભગવાનનો ચક્ષુ ઉન્મીલન અને 26 જૂને સવારે 8થી 12 દરમિયાન મહા અભિષેક યોજાશે. ત્યારબાદ સાંજે બેબા શેઠના નિવાસસ્થાને મામેરું ભરાશે અને 7 વાગે મામેરાની યાત્રા નીકળશે. અંતે 27 જૂને વહેલી સવારે વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ ભક્તિ સંગીત વચ્ચે રથયાત્રા નિકળશે. ગુજરાતમાં આ બીજી મોટી અને ભારતમાં ત્રીજી મોટી ગણાતી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં નગરચર્યા કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande