પાટણ, 16 જૂન (હિ.સ.) 27 જૂનની પાટણ રથયાત્રા પૂર્વે, ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રાજીનું ભવ્ય મામેરું બેબા શેઠ પરિવાર દ્વારા, યોજાવાનું છે. આ બીજીવાર છે જ્યારે આ પરિવારને એવું પુણ્યપ્રાપ્ત થયું છે. શહેરના વિવિધ ભજન અને ગરબા મંડળોની 1000થી વધુ બહેનો એકસરખી સાડી પહેરી હાજરી આપશે, જયારે આમંત્રિત ભાઈઓ માટે વિશિષ્ટ પ્રિન્ટના દુપટ્ટા તૈયાર કરાયા છે.
મામેરાની શોભાયાત્રા હિમજા સોસાયટીથી શરૂ થઈને બગેશ્વર મહાદેવ, રળિયાત નગર, બગવાડા દરવાજા, હિંગલાચાચર, ઘીવટા નાકા અને બહુચર માતા મંદિર થઈ રહેઠાણ વિસ્તારમાંથી પસાર થઈને રોકડિયા ગેટ વાટે જગન્નાથ મંદિર પહોંચશે. શોભાયાત્રામાં પોલીસ બેન્ડ, ઘોડેસવારો, રાસમંડળ અને વિવિધ લોકકલાકાર પણ ભાગ લેશે.
મંદિરમાં આગમન બાદ આરતી અને વિશેષ પૂજાની સાથે મામેરું અર્પણ કરવામાં આવશે. આ રથયાત્રા ગુજરાતમાં, અમદાવાદ પછી અને સમગ્ર ભારતમાં પુરી બાદ ત્રીજી સૌથી મોટી રથયાત્રા તરીકે ઓળખાય છે. મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન શ્રદ્ધાપૂર્વક અને જમાવટથી ચાલી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર