વિધાનસભા મત વિસ્તારના કુલ ૨૯૪ મતદાન મથકો ખાતે, ૧૦ ખાના ધરાવતું બોક્ષ મતદાન મથકના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવશે
જુનાગઢ 16 જૂન (હિ.સ.) ભારતના ચૂંટણી આયોગ દ્વારા નવી પહેલ સ્વરૂપે મતદારો માટે મતદાન મથક ખાતે મોબાઈલ ફોન જમા કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર તેમજ અધિકૃત ચૂંટણી/પોલીસ સ્ટાફ સિવાયની કોઈપણ વ્યક્તિ મતદાન
જુનાગઢ નવી પહેલ


જુનાગઢ 16 જૂન (હિ.સ.) ભારતના ચૂંટણી આયોગ દ્વારા નવી પહેલ સ્વરૂપે મતદારો માટે મતદાન મથક ખાતે મોબાઈલ ફોન જમા કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ભારતના ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર તેમજ અધિકૃત ચૂંટણી/પોલીસ સ્ટાફ સિવાયની કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર મોબાઈલ કે વાયરલેસ લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. મતદારોને પોતાનો મોબાઈલ ફોન જમા કરાવવા માટે મતદાન મથકો ખાતે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આયોગની માર્ગદર્શિકા મુજબ મતદાન મથકના ૧૦૦ મીટરના વિસ્તારમાં ફક્ત મોબાઇલ ફોન લઈ જઈ શકાશે અને તે ફરજિયાતપણે 'સ્વીચ ઓફ મોડ' માં રાખવાનો રહેશે. મતદાન મથકના પ્રવેશદ્વાર પર ૧૦ જેટલા મતદાતાઓના મોબાઈલ ફોન જમા કરી શકાય તે મુજબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ માટે ૮૭- વિધાનસભા મત વિસ્તારના કુલ ૨૯૪ મતદાન મથકો ખાતે ૧૦ ખાના ધરાવતું બોક્ષ મતદાન મથકના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવશે. કોઈપણ સંજોગોમાં મતદાતાને મતદાન મથકમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ આપી શકાશે નહીં.મોબાઈલ જમા કરાવવા માટેની સુવિધા ફક્ત મતદાન મથકમાં પ્રવેશ કરનાર મતદાતાને જ પૂરી પાડવામાં આવશે. કોઇપણ અન્ય વ્યક્તિ(મતદાન એજન્ટ, પોલીંગ ઓફીસર વગેરે સહિત)ને આ સુવિધા મળવાપાત્ર રહેશે નહીં.

આ ઉપરાંત ભારતના ચૂંટણી આયોગની સૂચનાનુસાર મતદાન મથક ખાતે મતદારોને સહાય કરવા સ્વયંસેવકો(Volunteers) નીમવામાં આવે છે. બુથ લેવલ ઓફીસર દ્વારા કરવામાં આવતી આ કામગીરી માટે આવા એક કે બે સ્વયંસેવક ફાળવવામાં આવશે. મોબાઈલ ફોન જમા લેવા માટે નીમાયેલ સ્વયંસેવક/સ્વયંસેવકોને બુથ લેવલ ઓફીસરની સહીં કરેલા ૨” X ૨” સાઈઝના નંબરીંગ કરેલ ટોકન પૂરા પાડવામાં આવશે.

મતદાન મથકમાં પ્રવેશ કરતાં પહેલા મતદાતાએ ટોકન મેળવી, મોબાઇલ ફોન જમા કરાવવાનો રહેશે.જ્યારે મતદાન કરી મતદાન મથકમાંથી બહાર આવ્યા બાદ મતદાતાએ ટોકન પરત આપી મોબાઇલ મેળવવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande