પાટણ, 16 જૂન (હિ.સ.)
પાટણ જિલ્લાના હારીજથી કાતરા વચ્ચેના નવા બની રહેલા રોડ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હારીજથી ખાખડી સુધીના આશરે 3 કિમીના માર્ગ પર હાલમાં ડામર તોડીને કપચી પાથરવામાં આવી છે.
નિયમ અનુસાર કપચી નાખ્યા પછી તેનું સુલભ વપરાશ માટે પાણીનો નિયમિત છંટકાવ કરવો જરૂરી હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી, જેના કારણે રસ્તા પરથી સતત ધૂળ ઊડતી રહે છે અને કપચી પણ છૂટી પડી રહી છે.
સ્થાનિક વાહનચાલક અમૃત ઠાકોરે જણાવ્યું કે, પાણીનો છંટકાવ ન થવાને કારણે ઊડતી ધૂળ અને છૂટી કપચીથી વાહન ચલાવવું બહુ મુશ્કેલ બની ગયું છે. આ સ્થિતિમાં વાહનચાલકો અને આસપાસના રહેવાસીઓને અવારનવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર