સુરત, 19 જૂન (હિ.સ.)- અમદાવાદ ખાતે થયેલી પ્લેન દુર્ઘટનામાં અડાજણના મૃતક તબીબ શાહ દંપતિ અને રામપુરાના નાનાબાવાના પરિવારજનોની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી. મંત્રીએ મૃતકોના પરિવારજનોના દુઃખમાં સહભાગી થઈ સાંત્વના પાઠવી હતી.
મંત્રીએ મૃતકોના પરિવારજનો સાથે કરેલી સંવેદનશીલ વાતચીતમાં માનવીયતાનો સ્પષ્ટ પરિચય મળ્યો હતો. તેમણે પરિવારજનોની પીડા સાંભળી અને તેમના આ દુઃખમાં રાજ્ય સરકાર પરિવારજનોની પડખે હોવાનું કહ્યું હતું.
પરિવારજનોને સાંત્વના પાઠવતા શ્રીસંઘવીએ કહ્યું કે, પ્લેન દુર્ઘટનાથી પરિવાર સાથે રાષ્ટ્રનું મોટું નુકશાન થયું છે. ડો. હિતેશભાઈ અને ડો. અમિતાબેન જેવા પ્રતિભાશાળી તબીબોના અકાળ અવસાનથી તબીબી ક્ષેત્ર અને સમાજને મોટી ખોટ પડી છે, એ ક્યારેય ભરાઈ ન શકે એમ કહી મૃતક દંપતિની જનસેવા માટેની ભાવના સમાજ હંમેશા યાદ રાખશે એમ જણાવ્યું હતું.
રામપુરા સ્થિત નાનાબાવા પરિવારજનોને સાંત્વના પાઠવતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, પરિવારના આધારસ્તંભ સમાન મોટા દિકરાની સાથે પુત્રવધુ અને પૌત્રીની અચાનક વિદાય લેવી અત્યંત હ્યદયદ્વાવક ઘટના છે. એક સાથે ત્રણેયના જવાથી પરિવારને એક ખાલીપો મળ્યો છે, ખાસ કરીને પિતાને, જેમના માટે મોટો દીકરો જીવનભરનો આધાર હોય છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્ય પામેલા તમામ દિવંગતોની આત્માને શાંતિ આપે અને સમગ્ર પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે