૧૧ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં ઉલ્લાસભેર 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી
ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે ''વિશ્વ યોગ દિવસ''ની ઉજવણી કરવામાં આવી હતી. ખુશનૂમા
વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી


ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

ખુશનૂમા વાતાવરણમાં પવિત્ર ધરા એવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં અરબી સમુદ્રની લહેરો સાથે તાલ મિલાવતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે યોગાભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.

હિમાંજય પાલીવાલે યોગનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, આપણે સૌ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનું પ્રતીક છે, જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. આમ કહી એમણે યોગના આ પાવન પથ પર આગળ વધવા બદલ સૌ નાગરિકોના પ્રયાસોને બિરદાવ્યાં હતાં.

તેમણે ઉમેર્યું હતું કે, યોગ એ ભારતની વિરાસત અને ધરોહર છે. આપણે વિકાસ તો કરવાનો જ છે, સાથે-સાથે જ વિરાસતને પણ સાચવવાની છે. ધરોહર અને વિરાસતનું રક્ષણ કરવું એ આપણા સૌ માટે ગર્વની અનુભૂતિ છે.

યોગ એ આત્મકલ્યાણ થી વિશ્વ કલ્યાણ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આપણે જે ભૂમિ પર બેઠા છીએ એ ભૂમિ આદિયોગી શિવની ભૂમિ છે. યોગના મુખ્ય અધિષ્ઠાતા આદિયોગી છે.

ઋષિપરંપરાના માધ્યમથી યોગનો પ્રચાર-પ્રસાર આગળ વધ્યો છે. વિશ્વભરમાં યોગના પ્રચાર પ્રસાર માટે અનેક પ્રયત્નો ચાલી રહ્યાં છે. જન-જન સુધી યોગને પહોંચાડવા માટે રાજ્ય સરકાર સાથે અનેક સંસ્થાઓ કાર્યરત છે.

જેમ સૈનિક દેશની સુરક્ષા માટે સરહદ પર કાર્યરત છે એમ આપણે સૌએ પણ આળસ, અહંકાર જેવા શારીરિક અને માનસિક શત્રુઓ સામે યોગના માધ્યમથી લડવાનું છે. 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' એટલે કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારમાં સર્વે સુખીનઃ સંતુની ભાવના સમાયેલી છે. યોગના માધ્યમથી આપણું શારીરિક સ્વાસ્થ્ય તો જાળવવાનું જ છે, પરંતુ આપણી આસપાસ રહેલા વ્યક્તિઓનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે એવો પ્રયત્ન કરવાનો છે.

યોગ દ્વારા આપણા શરીર અને મનને સ્વસ્થ કરીએ છીએ, ત્યારે આપણે પરોક્ષ રીતે એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ પૃથ્વીના નિર્માણમાં પણ યોગદાન આપીએ છીએ.એમ એમણે વધુમાં ઉમેર્યું હતું.

આ યોગાભ્યાસમાં યોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા કપાલભાતિ, અનુલોમ-વિલોમ જેવાં વિવિધ પ્રાણાયામોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો તેમજ તાડાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, સવાસન, હસ્તપાદાસન સહિતના યોગાસનો કરાવવામાં આવ્યાં હતાં અને ઉના તાલુકાના વરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સંગીત સાથે યોગ નિદર્શન કર્યું હતું.

'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ'ની થીમ સાથે યોજાયેલા આ યોગ દિવસની ઉજવણી અવસરે કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયે યોગના મહત્વ વિશે જણાવ્યું હતું કે, તન સાથે મનની એકાગ્રતા વધારવા સાથે સર્વ સમાજ નિરામય બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ, રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ. યોગાભ્યાસ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

જિલ્લાકક્ષાની ઉજવણીની સમાંતર જ જિલ્લાની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમો થકી 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી પ્રસંગે કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લામાંથી આશરે બે લાખ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો.

આ અવસરે વડાપ્રધાનની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમ ખાતેથી તેમજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વડનગર ખાતેથી થઈ રહેલી રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૧ વર્ષથી યોગ દિવસની ઊજવણીને કારણે સમાજમાં આરોગ્ય સંભાળ માટેના પરિદ્રશ્યમાં મોટો બદલાવ આવ્યો છે. મેદસ્વીતાના ઉપાયરૂપે યોગને સામેલ કરી સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પાર પાડ્યો છે.

આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી સર્વ સંજયભાઈ પરમાર સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સહિત ૨૫૦૦ થી વધુ નાગરિકો આ યોગાભ્યાસમાં જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande