ગાંધીનગર, 21 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા અદાલત સંકુલમાં ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. નામદાર ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ યોગ દ્વારા શારીરિક તથા માનસિક આરોગ્યના મહત્વને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક થીમ “એક ધરતી, એક આરોગ્ય માટે યોગ અનુરૂપ ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીની શરૂઆત વહેલી સવારે યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગ સત્રથી કરવામાં આવી હતી. ગાંધીનગર જીલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ હિતા આઈ. ભટ્ટનાઓના માર્ગદર્શન મુજબ આ પ્રસંગે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ જિલ્લા ન્યાયાધીશ જે.એન. ઠક્કર, ફેમિલી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આરતી આર. દેસાઈ, ન્યાયિક અધિકારીઓ, જિલ્લા સરકારી વકીલ એચ.એન. રાવલ, બાર એસોસિએશનના અધ્યક્ષ શંકરસિંહ ગોહિલ તથા લાલસિંહ ગોહિલ, અન્ય સરકારી વકીલગણ, અદાલતના કર્મચારીઓ તેમજ કાનૂની ક્ષેત્રના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
યોગ સત્રમાં વિવિધ આસનો, પ્રાણાયામ (શ્વાસના અભ્યાસ) તથા ધ્યાનની પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે તમામ ઉંમરના તથા વિવિધ અનુભવી સ્તરના ભાગીદારો માટે યોગ્ય હતી. યોગ શિક્ષકે વ્યસ્ત વ્યવસાયિક જીવનમાં તાણ ઘટાડવા તથા સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખવા માટે યોગનું મહત્વ વિશદ રીતે સમજાવ્યું, ખાસ કરીને કાયદા અને ન્યાયક્ષેત્ર જેવા અતિ મહત્વપૂર્ણ અને વ્યસ્ત વિભાગમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા યોગના લાભો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી અને એક આરોગ્યમય તથા સુમેળસભર સમાજના નિર્માણમાં યોગની ભૂમિકા વિશે મજબૂત સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ