ચંડીગઢ, નવી દિલ્હી, 21 જૂન (હિ.સ.). હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જણાવ્યું હતું કે, રાજ્યની તમામ યુનિવર્સિટીઓના શૈક્ષણિક અભ્યાસક્રમમાં યોગનો સમાવેશ કરવામાં આવશે. આ માટે, એક સમાન યોગ અભ્યાસક્રમ બનાવવામાં આવશે. તેમણે આજે કુરુક્ષેત્રમાં આયોજિત રાજ્ય સ્તરના યોગ કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
યોગ ગુરુ સ્વામી રામદેવે કુરુક્ષેત્રમાં દરેકને યોગ કરાવ્યો. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, આરોગ્ય મંત્રી આરતી રાવ, કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદલ અને અન્ય ઘણા મહાનુભાવોએ તેમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, હરિયાણાના તમામ જિલ્લાઓ, વિધાનસભા મતવિસ્તારો અને 121 બ્લોકમાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, યુનિવર્સિટીઓમાં યોગ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે યોગ લેખક પ્રોત્સાહન યોજના લાગુ કરવામાં આવશે. દર વર્ષે યોગ લેખકોને રાજ્ય સન્માન આપવામાં આવશે. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ક્રેડિટ આધારિત પરીક્ષા પ્રણાલી તરીકે યોગ પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ વર્ષથી જ આયુષ તબીબી પ્રણાલી હેઠળ યોગ અને નિસર્ગોપચાર વિષયોને માન્યતા આપવામાં આવશે. આ વિષયોના ડોકટરોની રાજ્ય નોંધણી પણ શરૂ થશે.
સૈનીએ જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણા આયુષ યુનિવર્સિટી કુરુક્ષેત્રમાં, આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્ર માટે એક વિશાળ હોલ બનાવવામાં આવશે. હાલમાં રાજ્યમાં 883 યોગ અને વ્યાયામશાળાઓ ખોલવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યમાં 100 નવા યોગ અને વ્યાયામશાળાઓ ખોલવામાં આવશે. યોગને રમત તરીકે મજબૂત બનાવવા માટે, રમતગમત વિભાગમાં 40 યોગ કોચની ભરતી કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, હરિયાણામાં આજે યોગ દિવસ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છેલ્લા 25 દિવસમાં, વહીવટી અધિકારીઓ, એનજીઓ, ધાર્મિક સામાજિક સંગઠનોએ યોગ અભ્યાસ પ્રોટોકોલનું આયોજન કર્યું છે, જેમાં 20 લાખથી વધુ લોકો જોડાયા છે.
રાજ્યના તમામ કાર્યાલયોમાં વાય બ્રેક શરૂ થશે
મુખ્યમંત્રી નાયબ સૈનીએ જાહેરાત કરી છે કે, આજથી જ રાજ્યના તમામ સરકારી કાર્યાલયોમાં પાંચ મિનિટનો વાય બ્રેક શરૂ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ કામ દરમિયાન તણાવમુક્ત રહીને કામ કરી શકે તે માટે તેમની સીટ પર બેસીને પાંચ મિનિટ માટે સરળ યોગ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ