ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સંકલન સભાખંડ, ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરએ અધિકારીઓ પાસેથી વિસ્તૃતમાં વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું.
ધારાસભ્ય ભગવાનભાઈ બારડના રજૂ થયેલા સૂત્રાપાડા અને માઢવાડ ખાતે નિર્માણ થઈ રહેલી જેટીના કામ અંગે, હિરણ-૨ ડેમ નીચાણવાણા વિસ્તારથી સોમનાથ ત્રિવેણી સંગમમાં મળતી હિરણ નદીના સફાઈ કરાવવા તેમજ નદીને ઊંડી ઉતારવા, ટિંબળી ગામે સંપાદન થયેલી જમીનમાં ખેડૂતોને ઓછા વળતર અંગે, તાલાલા-સૂત્રાપાડાને લગતાં વીજવિભાગના પ્રશ્નો સહિત રજૂઆતોની વિસ્તૃતમાં ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.
કલેક્ટરએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી સંબંધિત વિભાગોને પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ જનપ્રતિનિધિઓને સમયમર્યાદામાં યોગ્ય પ્રત્યુ્ત્તર પાઠવવા સૂચના આપી હતી.
કલેક્ટરએ બેઠકમાં મિશન લાઈફ એક્ટિવિટી અંતર્ગત પાણી બચાવવા, વીજળી બચાવવા, ભીનો તેમજ સૂકો કચરો અલગ કરવા, ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ સહિત પર્યાવરણને આનુષાંગિક કામો તેમજ જળ સિંચન જળ ભાગીદારી અંતર્ગત પાણી સંગ્રહ પદ્ધતિઓ અંગે વિસ્તારમાં ચર્ચા કરી અને સંલગ્ન અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતાં.
જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકલક્ષી પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી આ સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા કલેક્ટરએ અધિકારીઓને સૂચનો આપ્યાં હતાં.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ, ફિશરીઝ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ