સુરત, 23 જૂન (હિ.સ.)-સુરત શહેરમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે શહેરના વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગના જવાનોએ ભારે વરસાદના કારણે એલ.પી. સવાણી સર્કલ પાસે, ટયુશન કલાસના આઠ બાળકો, સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિવાનમાં જતા પાંચ બાળકો, આનંદમહલ રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ફસાયેલા ૩૩ લોકો, સરથાણા જકાતનાકા પાસેથી 28 વિદ્યાર્થીઓ, વરાછાના ખાંડ બજાર પાસેથી બેન્કના 18 કર્મચારીઓ, વનિતા વિશ્રામ કેમ્પસમાંથી વિદ્યાર્થી-વાલી સહિત 6 લોકો, રામનગર વોક-વેથી એક મહિલા, મ્યુ. ટેનામેન્ટ પાસેથી 10 બાળકોને, પી. એમ ભગત સ્કૂલના એક વિદ્યાર્થી સહિત કુલ 113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અખંડ આનંદ કોલેજની બે વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદી સ્થિતિમાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપી આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે