પોરબંદર, 23 જૂન (હિ.સ.)રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે માન. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો.ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ઉનાળુ મગ પાક માટે રૂપિયા 8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. વર્તમાન સમયમાં બજારમાં મગનો ભાવ રૂપિયા 6,772 પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહેલ છે. આવી સ્થિતીમાં મગના ઓછા ભાવથી રાજ્યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. 15 મેથી આગામી તા. 25 મે 2025 સુધીમાં રાજ્યના ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી હતી. જ્યારે આજથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે પોરબંદર પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે માન. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં વિવિધ પાકો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવે છે. ત્યારે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને રાખી પ્રતિ ખેડૂત 1500 કિ.ગ્રા મગની ખરીદી કરાશે અને ખેડૂતોને રૂપિયા 1726 પ્રતિ મણ ટેકાનો ભાવ ચુકવવામાં આવશે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ખેડૂતોના પાકની પારદર્શી રીતે પૂરતા પ્રમાણમાં ખરીદી થાય અને તેમને સમયસર નાણાં મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે, સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજનો કરવામાં આવેલ છે.
ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવા માટે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માન. કેન્દ્રીય કૃષિમંત્રી શીવરાજસિંહ ચૌહાણ, માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના માન. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું.આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ઉપરાંત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya