ભાવનગર, 24 જૂન (હિ.સ.) ભારતીય રેલવે તેની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. પશ્ચિમ રેલવેની ભાવનગર બ્રોડગેજ વર્કશોપ સૌર ઉર્જાથી તેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે.
ભાવનગર બ્રોડગેજ વર્કશોપના મુખ્ય કારખાના પ્રબંધક શ્રી યોગેન્દ્ર કુમારે માહિતી આપી હતી કે સપ્ટેમ્બર-2020 માં, વર્કશોપે તેની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 500 kwp નો સોલાર પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. સોલાર પ્લાન્ટનું જીવનકાળ 25 વર્ષ છે અને તેનું જાળવણી પણ મફત છે. નાણાકીય વર્ષ 2023-24 ભાવનગર બ્રોડગેજ વર્કશોપ માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું. સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અલગ જગ્યાની જરૂર નહોતી, તેના બદલે તે વર્કશોપ ઇમારતોની છત પર સ્થાપિત કરવામાં આવ્યા છે.
ભાવનગર બ્રોડગેજ વર્કશોપને વર્ષ 2023 માં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર પણ મળ્યો છે. રેલવે ફેક્ટરી ક્ષેત્રમાં ઉર્જા સંરક્ષણ માટે કરવામાં આવેલી સિદ્ધિઓની પ્રશંસા કરતા, મેસર્સ પેસેન્જર કોચ રિપેર ફેક્ટરી વેસ્ટર્ન રેલવે ભાવનગર (ગુજરાત) ને ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા વર્ષ 2023 માટે યોગ્યતા પ્રમાણ-પત્ર એનાયત કરવામાં આવ્યું છે. ભાવનગર બ્રોડગેજ વર્કશોપે સૌર ઉર્જાનું ઉત્પાદન કર્યું છે -
• નાણાકીય વર્ષ 2021-22 માં 1,64,320 યુનિટ,
• નાણાકીય વર્ષ 2022-23 માં 5,91,438 યુનિટ,
• નાણાકીય વર્ષ 2023-24 માં 7,43,155 યુનિટ અને
• નાણાકીય વર્ષ 2024-25 માં 6,88,393.52 યુનિટ.
આમ, ભાવનગર બ્રોડગેજ વર્કશોપની 100% જરૂરિયાત સૌર ઉર્જા દ્વારા પૂર્ણ થઈ રહી છે અને ઉત્પન્ન થતી વધારાની વીજળી પીજીવીસીએલને જાય છે, જે ભાવનગર બ્રોડગેજ વર્કશોપ માટે એક મોટી સિદ્ધિ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ