મોડાસા, 24 જૂન (હિ.સ.) વર્ષોથી રેલ સેવાના ક્ષેત્રે પછાત રહેલા સાબરકાંઠા અને અરવલ્લીનાં મુંબઈ અને મહારાષ્ટ્રનાં અન્ય ભાગોમાં રહેતા હજારો રેલ પ્રવાસીઓ માટે વર્ષ ૨૦૦૪થી વિવિધ સમાજોના અગ્રણીઓ અને સંસ્થાઓની બનેલી સાબરકાંઠા રેલ વિકાસ સમિતી દ્વારા રેલવેનાં વિકાસ માટેની સમિતીનું ગઠન કરી રેલ વિકાસનાં કાર્યો માટે પ્રયત્નો શરૂ કર્યાં.
સૌથી વધારે સમયથી વેસ્ટર્ન રેલવેની ઝેડઆરયુસીસીની કમિટીના સભ્ય તરીકે સેવા આપનાર અને સાબરકાંઠા તથા ત્યારબાદ નવા રચાયેલા અરવલ્લી જીલ્લાની સાબરકાંઠા-અરવલ્લી રેલ વિકાસ સમિતીના સ્થાપક-પ્રમુખ પ્રફુલ્લ ઉપાધ્યાનનાં સતત અને અવિરત પ્રયત્નો થકી ૨૦૦૮-૦૯નાં બજેટમાં તત્કાલિન રેલવે રાજ્ય મંત્રી શ્રી નારણભાઈ રાઠવા દ્વારા રેલ બજેટમાં અમદાવાદ-ઉદયપુર ગેઝ કન્વર્ઝનને માન્યતા આપવામાં આવેલી.
ત્યારબાદ સતત પ્રયત્નો દ્વારા ગેઢ કન્વર્ઝનનું કામ પુરુ કરાવવા માટે તે સમયનાં સાબરકાંઠાનાં સાંસદ ડોક્ટર મહેન્દ્રશ્રી ચૌહાણ તથા ત્યારબાદનાં સાંસદ દિપસિંહ રાઠોડ અને ઉત્તર-મુંબઈનાં સાંસદ ગોપાલ શેટ્ટીજી તથા ઉદયપુરનાં સાંસદ શ્રીમીણાજીનો સમન્વય સાધી તેઓના માધ્યમથી ગેઝ કન્વર્ઝનનું કામ પૂર્ણ કરાવી સાથે ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ પૂર્ણ થઈ ગયેલ છે. તથા ગત વર્ષે રેલવે દ્વારા બાંદ્રાથી ઉદયપુરની હોલિડે સ્પેશ્યિલની એક ફેરી ચલાવવામાં આવેલી. ત્યારે સાબરકાંઠા,અરવલ્લી તથા ડુંગરપુરથી લઈને ઉદયપુર સુધી મુંબઈમાં વસતા હજારો પ્રવાસીઓમાં સીધી સેવાની આશા જન્મી હતી. એ બાબતને પણ લગભગ દોઢ વર્ષ આવ્યા હોવા છતાં સીધી સેવા મળેલ નથી.
આ બાબતે સાબરકાંઠા-અરવલ્લી રેલ વિકાસ સમિતીના સ્થાનિકનાં સદસ્યો જીતેન્દ્રભાઈ ત્રિવેદી, બાબુભાઈ કુકડિયા, ગિરીશભાઈ ઉપાધ્યાય તથા વેસ્ટર્ન રેલવેનાં સૌથી વધારે વખત ઝેડઆરયુસીસીના મેમ્બર તરીકે સેવા આપનાર આ સંસ્થાનાં પ્રમુખ પ્રફુલ્લ ઉપાધ્યાય દ્વારા સંસ્થા તરફથી અને શ્રી ત્રિવેદી મેવાડા બારિશી સમાજનાં લોકોની માગણીના સંદર્ભે યુવક સંઘના પ્રમુખ ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીનાં રેલવેની સમસ્યાઓ અને રેલ વિકાસ માટે સતત અને અવિરત કાર્યરત પ્રયત્નશીલ અને ચિંતિત સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા દ્વારા હિંમતનગર ખાતે વેસ્ટર્ન અને નોર્થ વેસ્ટર્ન રેલવેનાં પદાધિકારીઓ અને સાબરકાંઠાનાં જીલ્લાનાં કલેક્ટરશ્રી સાથેની રેલવેની સમસ્યાઓ બાબતે બોલાવેલી મીટિંગમાં મુંબઈથી સીધી હિંમતનગર સુધી તથા ઉદયપુર સુધીની રેલ સેવાઓ શરૂ કરવા માટે પ્રફુલ્લ ઉપાધ્યાય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાબરકાંઠા-અરવલ્લીના મુંબઈમાં રહેતા સમાજોનાં જનપ્રતિનિધિઓને રેલવેની વિવિધ સમિતીઓમાં સ્થાન આપવા બાબતની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તથા સાબરકાંઠાના સાંસદશ્રી દ્વારા રેલવે માટે કરવામાં આવી રહેલા પ્રયત્નો અને કાર્યોને સમિતી વતિથી બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ બાબતે જ્યારે જરૂર જણાય ત્યારે રેલવેની તમામ બાબતોમાં સાથ આપવા માટે સમિતી વતિથી પ્રફુલ્લ ઉપાધ્યાય દ્વારા સાંસદશ્રીને જણાવવામાં આવેલ.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ