ગાંધીનગર, 24 જૂન (હિ.સ.) : આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વર્તમાન પરિપ્રેક્ષ્ય અને જરૂરીયાતોને ધ્યાને રાખી, આરોગ્યની સેવાઓ સુચારૂ ઢબે ચાલે તથા આ સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે હેતુથી આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં વધારો કરવા અને તે માટેની ખરીદ સમિતિઓમાં આવશ્યક ફેરફાર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય ક્ષેત્રીય કચેરીઓ ખાતે દવાઓ, સર્જિકલ આઇટમ, તબીબી સાધનો, ડિસ્પોઝેબલ વસ્તુઓ વિગેરેની ખરીદી તેમજ તબીબી સાધનો, એમ્બ્યુલન્સ વાહનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સ, હોસ્પિટલના સિવિલ અને ઇલેક્ટ્રીક માઇનર રિપેરિંગ અને મેઇન્ટેનન્સના કામો માટે નાણાકીય સત્તામાં વધારો કરવામાં આવ્યો છે, તેમજ તે માટેની ખરીદ સમિતિઓમાં પણ આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે.
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, આજના સમયમાં મેડિકલ સાધનો, દવાઓ, ફર્નિચર, રિપેરિંગ કોસ્ટ, લેબોરેટરી કિટ, લેબર વર્ક વગેરેના ભાવમાં થયેલા વધારાના કારણે વિભાગના HODs અને કચેરીઓના વડાને આપવામાં આવતી નાણાકીય સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો છે. વધુમાં, તેમણે કહ્યું કે, ફુગાવો, વસ્તી વધારો, આંતર માળખાકિય સુવિધાઓમાં થયેલ સુધારાના કારણે નાણાકીય સત્તામાં વધારો તથા સબંધિતોને નાણાકીય સત્તા સોંપણી બાબતે જરૂરી ફેરફાર કરવો આવશ્યક હતો.
આ મહત્વપૂર્ણ નિર્ણયથી આરોગ્ય સેવાઓ અંગેની ખરીદી અને જાળવણી અંગેની કામગીરી વધુ સુગમ તથા ઝડપી બનશે. પરિણામે આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થતા પ્રજાજનોને વધુ સારી રીતે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ