ગીર સોમનાથ, 24 જૂન (હિ.સ.) જિલ્લાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા શાખા દ્વારા જિલ્લાના અધિકારીઓ તથા સુપરવાઈઝરના સુપરવિઝન હેઠળ વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં કુલ ૯૪ સુપરવાઈઝરો પૈકી ૨૧ મેડીકલ ઓફિસર, ૨૪ આયુષ મેડીકલ ઓફિસર, ૪૯ સુપરવાઈઝરો દ્વારા ૬૭૧ ટીમ દ્વારા સુપરવિઝન તથા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૭ સી.એચ.ઓ, ૧૭૧ એમ.પી.એચ.ડબલ્યૂ, ૧૭૨ ફિમેલ હેલ્થ વર્કર, ૮૨૪ આશાબહેનો તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ વિઝીટ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની સર્વે ટીમ દ્વારા જિલ્લામાં પાણી ભરેલા પાત્રો, ફ્રીઝ, કુલર, ફૂલદાની, ટાયર, ભંગાર, અગાસી, પાણી ભરેલ ખાડાઓ વગેરે ચેક કરી જે જગ્યાએ મચ્છરોનું બ્રિડિંગ(પોરા) જોવા મળ્યા હતાં. જેમાં ટેમોફોસ/કેરોસીન નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ સર્વે દરમિયાન કુલ ૧૪,૦૩,૧૯૨ વસ્તી આવરી લેવામાં આવી હતી તથા ૨,૬૪,૨૫૪ ઘરોમાં મુલાકાત લેવાઈ હતી. ૧૬,૨૩,૪૯૯ જેટલા પાત્રો તપાસતા તેમાંથી ૫,૯૩૬ પાત્રોમાં મચ્છરનું બ્રીડીંગ જોવા મળતા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ આઉટડોરમાં મોટા ખાડા-ખાબોચિયામાં ૫,૧૬૬ બ્રીડીંગ પ્લેસમાં ડાયફ્લુ બેન્ઝુરોન તથા બળેલ ઓઈલ નાખવામાં આવ્યું હતું. જેથી મચ્છરના લાર્વા નાશ પામ્યાં હતાં.
કાયમી પાણી ભરાતી ૪૩૨ જગ્યાએ પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે. આ માછલીઓ મચ્છરના લાર્વા ઉપરાંત બીજી અન્ય જીવાતોનું ભક્ષણ કરતી હોવાથી મચ્છરોની ઉત્પતિ અટકાવવામાં ખૂબ જ મદદરૂપ બને છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન.બરૂઆ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.કે.ગૌસ્વામી દ્વારા વાહકજન્ય રોગચાળાના અસરકારક નિયંત્રણની કામગીરીને સાર્થક કરવા અને આ મહાભિયાનને સફળ બનાવવામાં લોકોને સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ