સુરત, 24 જૂન (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી થતા ભારે વરસાદના કારણે શહેરના જુદા જુદા વિસ્તારો જેમ કે વરાછા ઝોન-એ ના સણીયા હેમદ, પુણા, કાપોદરા, વરાછા ઝોન-બી ના સરથાણા, સીમાડા, રાંદેર ઝોનના પાલનપુર અને પાલ, કતારગામ ઝોનના કતારગામ, ડભોલી, છાપરાભાઠા, ઉધના ઝોન-એ ના ઉધનાસંઘ, સોનલ ભેદવાદ, મીરાનગર, ઉધના ઝોન-બી ના કનસાડ ગામ, લિંબાયત ઝોનના મીઠી ખાડી, આંજણા, ઉમરવાડા, પરવત તેમજ અઠવા ઝોનના રસુલાબાદના વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયેલ. સદર વિસ્તારોમાં પાણી ઓસરતા આરોગ્ય વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે તાત્કાલિક સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.
સદર ઝુંબેશમાં આજરોજ તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ આરોગ્ય વિભાગના ૨૨૮ સુપરવાઇઝરોના સઘન મોનિટરિંગ અને સુપરવીઝન હેઠળ ૧૯૬૨ સફાઈ કામદારો ૧૦ JCB, ૨૭ ટ્રક મારફત અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત કુલ ૯૪.૬૭ મે. ટન ઘન કચરાનો નિકાલ કરી, ૫૦૩૮ કિ.ગ્રા. જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ૯૪૫૦ ફૂડ પેકેટ, ૪૬૨૦ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવેલ છે.
અસરગ્રસ્ત વિસ્તાર તથા શેલ્ટર હોમમાં ૪૮ રેપીડ રિસ્પોન્સ ટીમ મારફત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવેલ. જે અંતર્ગત ૧૬૦ સર્વેલન્સ વર્કર દ્વારા ૨૯૦૪૬ વસ્તીનો સર્વે કરી ૧૩૬૩૬ કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ. તેમજ તાવના ૩૬, ઝાડા-ઉલટી ૧૦ અને અન્ય ૧૦૯ દર્દી મળી કુલ ૧૫૫ લોકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવી. તેમજ સદર વિસ્તારોમાં આરોગ્યલક્ષી શિક્ષણ જેમ કે વ્યકિતગત સ્વચ્છતા, પાણીને ઉકાળીને પીવુ, કલોરીનયુકત પાણી પીવુ વિગેરેની સમજણ આપવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે