પાટણ, 24 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના ટાણે પહોંચી છે. મંદિર ટ્રસ્ટે તમામ ધાર્મિક અને સંસ્કૃતિક આયોજન પૂર્ણ કર્યું છે. આ યાત્રામાં કાળિયા ઠાકોર પોતાના પરિવાર સાથે નગરજનોને સામે ચાલીને દર્શન આપશે. શહેરના માર્ગો પર હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્શનાર્થીઓ માટે મગ અને ચણાનો કુલ 20,000 કિલો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
રથયાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાને લક્ષમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પોલીસ કાફલા સાથે રથયાત્રા રૂટ પર ફ્લેગ માર્ચ યોજી હતી. 6 કિલોમીટરના રૂટ પર 30 પોલીસ અધિકારીઓ અને 500 જેટલા જવાનો તૈનાત કરાયા છે. 15 પોલીસ ગાડીઓ સાથે શિસ્તબદ્ધ સંકેત આપવામાં આવ્યો હતો.
યાત્રા દરમિયાન ડ્રોનથી રૂટ પર નજર રાખવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યાં લાઈટિંગ ન હોય ત્યાં પોલીસ દ્વારા પ્રકાશની વ્યવસ્થા કરાશે. સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ અને અવલોકન ચાલુ રહેશે, તથા કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સમગ્ર પાટણ શહેર યાત્રાના ભક્તિમય અને ભવ્ય આવકાર માટે તૈયાર થઈ ગયું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર