મોડાસા, 24 જૂન (હિ.સ.) 25 જૂન, 1975ના રોજ ભારતના ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો, સંવિધાનની ધારા 352 હેઠળ દેશવ્યાપી કટોકટી (આપાતકાળ)ની ઘોષણા કરી. આ 21 મહિનાનો સમયગાળો ભારતીય લોકતંત્રમાં નાગરિક સ્વતંત્રતા, પ્રેસની આઝાદી અને મૌલિક અધિકારોને ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા. 2025માં આ કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના સંસ્મરણ અર્થે દેશભરમાં “સંવિધાન હત્યા દિવસ” નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે અનેક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા 88 વર્ષીય રાજાભાઈ પટેલની આપવીતી એક પ્રેરણાદાયી વાર્તા રજૂ કરે છે, જે કટોકટીના સમયની પીડા અને સંઘર્ષને જીવંત કરે છે.
રાજાભાઈ પટેલ, જેમણે મોડાસામાં કરિયાણાની દુકાન ચલાવીને પોતાનું જીવન ગુજાર્યું, તે સમયે કટોકટીનો વિરોધ કરનારા સાથીઓ હમીરભાઇ પટેલ, મોહનભાઈ જેસીંગ, અમૃતભાઈ જોશી, પરમાનંદભાઈ દોષી, રામચંદ્રભાઈ કડિયા,કમળાશંકર,નટુભાઈ સાથે જેલમાં પુરાયા હતા. આજે, 50 વર્ષ બાદ, તેઓ તે કઠોર દિવસોને યાદ કરતાં ભાવુક થઈ જાય છે. “એ વખતે બોલવાની આઝાદી નહોતી, લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર નીકળતા ખચકાતા,” રાજાભાઈ જણાવે છે. “અમે લોકશાહીની રક્ષા માટે લડ્યા, પણ બદલામાં અમને જેલની સજા મળી.” જેલમાંથી મુક્ત થયા બાદ, રાજાભાઈએ પોતાની કરિયાણાની દુકાન દ્વારા 11 પરિવારોની જરૂરિયાતો પૂરી કરી, જેમાં ખાદ્યસામગ્રીથી લઈને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. તેમની આ નિઃસ્વાર્થ સેવા તેમના સામાજિક જવાબદારીના સંકલ્પને દર્શાવે છે.
રાજાભાઈની દીકરી વનિતાબેન પટેલ જણાવે છે, “મારા પિતાજી અને તેમના સાથીઓએ કટોકટીના સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. ઘરમાં ખાવાનું નહોતું, પણ તેમણે ક્યારેય હિંમત હારી નહીં. તેમની વાતો સાંભળીને અમને લોકશાહીનું મૂલ્ય સમજાય છે.” વનિતાબેનના જણાવ્યા મુજબ, રાજાભાઈ અને તેમના સાથીઓએ જેલમાં રહીને પણ એકબીજાને હિંમત આપી અને લોકશાહીના પુનઃસ્થાપન માટે આશા રાખી.1975ની કટોકટી દરમિયાન લાખો લોકોની ધરપકડ કરવામાં આવી, પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી, અને વિરોધનો કોઈપણ અવાજ દબાવી દેવાયો. આ સમયે રાજાભાઈ જેવા અસંખ્ય નાગરિકોએ પોતાની આઝાદી ગુમાવી, પરંતુ તેમનો લોકશાહી પ્રત્યેનો વિશ્વાસ અડગ રહ્યો. 1977માં કટોકટી હટાવવામાં આવી અને લોકસભાની ચૂંટણીમાં લોકશાહીની પુનઃસ્થાપના થઈ.
આજે, સંવિધાન હત્યા દિવસના સંસ્મરણ કાર્યક્રમ અર્થે મોડાસામાં રાજાભાઈ પટેલ જેવા નાયકોની વીરગાથાઓ યુવાનોને લોકશાહીના મૂલ્યોનું મહત્વ શીખવે છે.આ 50 વર્ષ કટોકટીના દુઃખદ સમયની સાથે લોકશાહીની રક્ષા માટે સતત જાગૃત રહેવાનું આહ્વાન પણ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ