વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી વૉકેથોન રેલી યોજાઈ હતી, બંધારણ અને લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ કરવાનો આ અવસર છે -કલેકટર
ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.) ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે ૧૯૭૫માં તત્કાલિન સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી... આ કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર વેરાવળ ખાતે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી વૉકેથોન રેલી યોજાઈ હતી. કલેકટર એન.વી ઉપાધ્ય
વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી


ગીર સોમનાથ 26 જૂન (હિ.સ.) ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય એટલે ૧૯૭૫માં તત્કાલિન સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી... આ કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર વેરાવળ ખાતે વેરાવળ ચોપાટી થી ટાવરચોક સુધી વૉકેથોન રેલી યોજાઈ હતી.

કલેકટર એન.વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સંવિધાન પર થયેલા કુઠારાઘાતનો સ્મરણ કરવાનો અને ભવિષ્યમાં બંધારણ પર આવો પ્રહાર ન થાય અને બંધારણ અને બંધારણનો આત્મા જીવીત રહે તે વિશે નવી પેઢીને માહિતગાર કરવાનો પ્રસંગ છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કટોકટીકાળ દરમિયાન નાગરિકોને અભિવ્યક્તિની અને પ્રેસની અભિવ્યક્તિને ઘોંટવામાં આવી હતી.

દેશની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં દેશના લોકતંત્રના રક્ષકોની રાતોરાત ધરપકડ કરીને જેલને હવાલે કરવામાં આવ્યાં હતાં. આ લડતમાં યોગદાન આપનારા લોકતંત્રના રક્ષકોનું ભાવસ્મરણ કરવાનો આ અવસર છે. એમ એમણે જણાવ્યું હતું.

આ વૉકેથોનમાં વિદ્યાર્થીઓએ તિરંગા સાથે 'ભારત-મધર ઓફ ડેમોક્રેસી', 'મોર પાવર ટુ ડેમોક્રેસી', 'લોંગ લીવ ડેમોક્રેસી' જેવા બેનર્સ તેમજ 'ભારત કા સંવિધાન હૈ', 'વંદે માતરમ' જેવા ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સવારના સમયે મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે આજથી બરાબર ૫૦ વર્ષ પહેલા દેશમાં લદાયેલી કટોકટી અને તેનાથી બંધારણ પર થયેલ કુઠારાઘાતને યાદ અપાવવા 'સંવિધાન હત્યા દિવસ'નો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઐતિહાસિક દિવસનું મહત્વ શું છે? કટોકટી શું હતી? બંધારણનું મહત્વ, કટોકટી અને તેની સમગ્ર ભારત દેશ પર દૂરોગામી અસરો શાબ્દિક રીતે રજૂ કરવામાં આવી હતી અને કટોકટીકાળમાં ફિલ્મ પર પ્રતિબંધ, પત્રકાર ધરણાંઓ, નાગરિકોની સમસ્યાઓ સહિત કટોકટીની ઘટનાનો તબક્કાવાર ઘટનાક્રમ તેમજ સેંગોંગ અને બંધારણની પ્રતિકૃતિઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

આ વૉકેથોનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, માનસિંહ પરમાર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande