જૂનાગઢ 27 જૂન (હિ.સ.)
રાજ્ય સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં સરકારી જમીનો ઉપરથી દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરાવવાની કડક સૂચના થઈ આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન અને સૂચના હેઠળ અધિક નિવાસી કલેકટર કોમલ પટેલના નિરીક્ષણ હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢને સૂચના થઈ આવેલ કે કાળા દેવરાજ રબારી નામનો માથાભારે ઇસમ સામાન્ય લોકોમાં ધાકધમકી અને ડર ફેલાવે છે. ગુનાહિત પ્રવૃતિઓ આચરી રહ્યો છે, ભય ફેલાવીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવી રહ્યો છે.
જે અંગે કડક કાર્યવાહી કરવા અંગે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની સ્પષ્ટ સૂચના અને આદેશો મળતા આ સદરહું ઇસમનું મકાન કે જે અંદાજિત ૭૫૦ ચોરસ મીટર જેટલી જમીન સરકારી સર્વે નંબર ૩૦૮ માં દબાણ છે. તેના પર વૈભવી બંગલો બાંધીને રહે છે, આ બંગલો તેમજ અંદાજિત ૩૫,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ખેતીવાડી કરી વિશાળ ફાર્મ હાઉસ બનાવેલું છે તે મુજબ ખરાઈ કરતા મામલતદાર જૂનાગઢ શહેર અને સિટી સર્વે સુપ્રિ. દ્વારા તેમને લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ હેઠળની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં રિવિઝન થતા સરકાર પક્ષે દબાણ સાબિત કરવામાં સફળતા મળતા કલમ ૨૦૨ મુજબની આખરી નોટિસ આપી મિલકત ખાલી કરી દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી.
પરંતુ જાતે દબાણ દૂર ન કરતા આજરોજ તારીખ ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ મામલતદાર શહેર, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ, ૫ જેસીબી અને ટ્રેક્ટર સહિતની સાધન સામગ્રી સાથે સ્થળ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ તમામ મિલકતની કિંમત જોવા જઈએ તો જંત્રી પ્રમાણે મકાનની કિંમત ૩૦,૦૦,૦૦૦ રૂપિયા અને જમીનની કિંમત અંદાજિત ૮ કરોડ, ૫ લાખ થવા જાય છે. જેની બજાર કિંમત ગણીએ તો મકાનની કિંમત ૮૦,૦૦,૦૦૦ અને જમીનની બજાર કિંમત અંદાજિત ૧૬ કરોડ ગણી શકાય.
આ સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર કોમલ પટેલની રાહબરી હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ, મામલતદાર શહેર, સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્યા અને પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનો સહકાર મળેલો હતો.
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા અસામાજિક તત્વો અને માથાભારે ઇસમોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો ઝુંબેશના સ્વરૂપે શોધી દૂર કરવામાં આવશે. જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખોરવતા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અંગે નિર્દેશો અને હુકમો આપવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ