પોરબંદર, 3 જૂન (હિ.સ.) પોરબંદર જિલ્લાના જુદા-જુદા બંદરોથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ જુન માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્ય રીતે જુન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમકારક છે. મત્સ્યોધોગ ખાતે તથા પોર્ટ ઓફીસરશ્રી દ્રારા આવા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી.
તેમ છતાં અનઅધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યાજાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. તેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા પોરબંદર જિલ્લાના જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.જાહેરનામ અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાથી કે ક્રિંક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યકિતઓએ તા.01/06/2025 થી તા.30/07/2025 (બંને દિવસો સહિત) ના સમય દરમ્યાન માછીમારી માટે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં જવું નહી અને કોઇપણ બોટની અવર-જવર કરવી નહી.ઉલ્લેખનીય છે કે, આ નિયમો પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને, લશ્કરી દળો, અર્ધ લશકરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટો, નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોળી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે.
આ જાહેરનામા અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે, તેનાથી ઉપરના દરજજા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya