ગીર સોમનાથ, 3 જૂન (હિ.સ.) પ્રભાસ પાટણ ખાતે સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેથી સવિશેષ તકેદારી રાખવી જરૂરી છે. વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર દરમિયાન ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તેમજ વિવિધ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે.
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર કોઈ પણ વ્યક્તિએ શસ્ત્ર, તલવાર, ભાલા, ચપ્પુ અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્ર અથવા સાધનો લઈ જવાં, એકઠા કરવા તથા તૈયાર કરવા નહી. વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહી. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેર બિભત્સ સૂત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહી. જેનાથી સુરૂચિનો અને શાંતિનો ભંગ થાય તેવું કરવું નહી, તેવા હાવભાવ કરવા નહી, તેવી ચેષ્ટા કરવી નહી તથા ચિત્રો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ કરવી નહી.
આ જાહેરનામું સરકારની નોકરીમાં કામ કરતી કોઈ વ્યક્તિ કે જેની હથિયાર લઈ જવાની ફરજ હોય, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઈપણ અધિકારીશ્રીઓએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યકિત, ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય તેમજ રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડૂતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય તેવા લોકોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ એક વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા તેમજ દંડને પાત્ર થશે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ તે વ્યકિતનો ગુનો સાબિત થયેથી છ માસની સાદી કેદ અથવા રૂ.૨૫૦૦/-નો દંડ અગર બંને શિક્ષા થઈ શકશે અને આ હુકમની અવગણના માનવ જીવનને અથવા સ્વાસ્થ્યને અથવા સલામતીને નુકશાન કરે, ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ, બખેડો થાય તેવા વ્યકિત ૬ (છ) માસ સુધીની પરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂ.૧૦૦૦/- સુધીનો દંડ સહિત બંને શિક્ષાને પાત્ર ઠરશે.
આ જાહેરનામુ તા. ૦૧/૦૬/૨૦૨૫ થી દિન-૩૦ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ