વિશ્વ સાયકલ દિવસ”‘ગીરસોમનાથ સાયકલ મારી સરરર જાય, ટ્રિન ટ્રિન ટોકરી વગાડતી જાય.....’
સાયક્લિંગ પર્યાવરણ રક્ષણ સાથે સ્વાસ્થ્યના જતન માટેનું હાલતું-ચાલતું આયુધ
વિશ્વ સાયકલ દિવસ”‘ગીરસોમનાથ સાયકલ મારી સરરર જાય, ટ્રિન ટ્રિન ટોકરી વગાડતી જાય.....’


ગીર સોમનાથ 3 જૂન (હિ.સ.) એક સમય હતો કે જ્યારે શહેરોમાં મિલના ભૂંગળા સાથે મિલ છૂટે ત્યારે સાયકલની ટ્રિન-ટ્રિનના અવાજો સંભળાતાં હતાં. આ સિવાય જ્યારે સ્કૂલ શરૂ થાય અને સ્કૂલ છૂટે ત્યારે પણ સાયકલની ઘંટડીનો નાદ નિનાદની જેમ સંભળાતો હતો, પરંતુ આજે વિશ્વ જે ઝડપથી બદલાઈ રહ્યું છે, તે સાથે સફરના પરિમાણો પણ બદલાઈ રહ્યાં છે.

એક સમયે વાહનો ન હોવાના કારણે અથવા તો મોંઘા હોવાના કારણે સાયકલ પરિવહનનું એકમાત્ર સાધન હતું. ગોંડલ જેવા સ્ટેટમાં તો સાયકલ લેવા અને ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું હતું. તેવી તેની લક્ઝરી હતી. પરંતુ આજે સમયના ચક્રમાં સાયકલ ખોવાઈ છે.

વિદેશમાં તો આજે પણ સાયકલ ચલાવવાનું મહાત્મ્ય છે, અને તેના કારણે જ વિદેશની બસોમાં પણ સાયકલને લઈ જવા માટેના સ્ટેન્ડ લગાવેલા હોય છે, જેથી મુસાફર પોતાના ગંતવ્યસ્થાન પર ઉતરીને સાયકલ ચલાવીને નિશ્ચિત સ્થળે જઈ શકે. ભારત જેવા વિકાસશીલ દેશમાં વિકાસની ઝડપ સાથે સાયકલ પણ ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે પરંતુ હજુ તેનું ચલણ બરકરાર છે.

દર વર્ષે સાયકલના મહત્વને પારખીને યુ.એન. દ્વારા દર વર્ષે 3 જૂને ‘વિશ્વ સાયકલ દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ વિશ્વના વિવિધ દેશોને સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

પરિવહનના સાધનોમાં સાયકલ સૌથી સસ્તું વાહન છે. સાયકલ ચલાવવાના ઘણા ફાયદા છે. જેમ કે, તેમાં પેટ્રોલની જરૂર રહેતી નથી. જેથી આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટીએ સુરક્ષિત છે. સાયકલ ચલાવવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે. ઇમ્યુનિટી વધે છે, બોડી ફિટ રહે છે.

એક સમય હતો જ્યારે લોકો ચાલીને લાંબું અંતર કાપતા હતાં. સમય જતાં પૈડાંની શોધ થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પરિવહનના પરિમાણ બદલાયા. એમાં પણ સાયકલની શોધ થઈ અને લોકો તેનો બહોળો ઉપયોગ કરવા લાગ્યા. સાયકલ ચલાવવાથી શરીરને કસરત મળે છે અને તેમાં કોઈ પ્રદૂષણ થતું નથી.

જો દરરોજ 30 મિનિટ સાયકલ ચલાવવામાં આવે તો વજન નિયંત્રિત રહે છે, સ્નાયુઓ મજબૂત રહે છે, ડાયાબિટીસને નિયંત્રિત રહે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આજના આધુનિક અને ભાગદોડભર્યા જીવનમાં બાળકો, યુવાઓ અને વડીલો સહિતના નાગરીકો વધતી સ્થૂળતાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના નિરાકરણ, જીવનમાં સક્રિય રહેવા, તણાવ દૂર કરવા તથા પ્રકૃતિ સાથે ફરીથી જોડાવાનો એક સરળ અને શક્તિશાળી રસ્તો ‘સાયકલિંગ’ છે.

નિયમિત સાયકલિંગ કરવાથી તંદુરસ્ત શરીરની સાથે વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડી પર્યાવરણને બચાવવામાં પણ મદદરૂપ બની શકાય છે. આજના બેઠાડું થતાં જતાં જીવનમાં સાયક્લિંગ કરવાથી સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન મળે છે તે ઉપરાંત, સ્વાસ્થ્ય પણ સારૂ જળવાય છે.

આમ, તમારા સ્વાસ્થ્યના રક્ષણ માટે, પર્યાવરણના રક્ષણ માટે, ટ્રાફિક હળવો કરવા માટે, તણાવ ઓછો કરવા માટે, હવાની ગુણવત્તા સુધારવા અને આપણા શહેરોને પહેલા કરતા વધુ હરિયાળા બનાવવા માટે સાયકલ ચલાવી એ આજના સમયની જરૂરિયાત છે.

વિશ્વ સાયકલ દિવસે ચાલો આપણે પેટ્રોલ, ડીઝલ વાહનોના બદલે નજીકના સ્થાનોએ પહોંચવા માટે સાયકલનો ઉપયોગ કરીએ તે માટેની ટ્રિન...ટ્રિન... જો આપણા કાનમાં સંભળાય તો વિશ્વ સાયકલ દિવસની ઉજવણી સાર્થક બની રહેશે. ચાલો સૌ સાથે મળી સાયકલનું એક પેડલ પણ મારીએ.....

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande