ગીર સોમનાથ 3 જૂન (હિ.સ.) “વિશ્વ પર્યાવરણ દિવસ” પહેલા પ્રિ-ઈવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વેપારી એસોશિએશન સાથે પ્લાસ્ટીક મૂક્ત અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં વેપારીઓ અને નાગરિકો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તેમજ પ્લાસ્ટીકના બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે સંકલ્પબદ્ધ થયાં હતાં.
સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસ મૌલિક વૈંશે જણાવ્યું હતું કે, વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ અંતર્ગત જિલ્લામાં પ્લાસ્ટીક નાબૂદીની ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વેપારી એસોશીએશન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વોર્ડના સભ્યો, નગરપાલિકા સ્ટાફ, વેપારી એસોશીએશન પ્રમુખ, વેપારીઓ તેમજ નાગરિકો હાજર રહ્યાં હતાં અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ