સુરત, 4 જૂન (હિ.સ.)-શહેરમાં ચલાવાતી મનપાની સિટી બસ સેવા અંતર્ગત મુસાફરોને ચડતી પરેશાનીઓ સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 17 મહિનામાં યાત્રીઓ સાથે ગેરવર્તન અને ટિકિટ ન આપવાની ફરિયાદોના આધારે 1032 કંડક્ટરો તથા 228 ડ્રાઇવરોને બ્લેકલિસ્ટ કરાયા છે.
જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કંડક્ટરો પૈસા લેતાં છતાં મુસાફરોને ટિકિટ ન આપતા હોવાનું મોટી સંખ્યામાં જણાયું છે. ટિકિટ ચોરીના કારણે મનપાને લાખો રૂપિયાનું નુકસાન પણ સહન કરવું પડ્યું છે. તેથી હવે કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં કડકાઈ લાવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ અસફળ તથા શૈક્ષણિક લાયકાત વિનાના ઘણા વ્યક્તિઓને નોકરી આપી દેવામાં આવતી હતી. હવે માત્ર 12 પાસ લાયકાત ધરાવતા અને યોગ્ય પાત્રતાવાળાઓને જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આવા કંડક્ટરો કે ડ્રાઈવરો જો ફરીથી ગેરવર્તન કે ચોરીમાં સામેલ જોવા મળશે તો તેમને તરત બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
મનપા તરફથી બસ સેવાની શાખ જાળવવા અને યાત્રીઓને યોગ્ય સેવા પૂરી પાડવા માટે આ પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે