ગીર સોમનાથ 4 જૂન (હિ.સ.) કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અભિયાનનો ગત તા. ૨૨ મેથી પ્રારંભ થયો હતો.
તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લો પણ પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા તથા પ્લાસ્ટિક નાબૂદી અભિયાનમાં સક્રિયતાથી કાર્ય કરી રહ્યો છે. જે ઉપક્રમે આવતીકાલે સાંજે છ કલાકે વેરાવળ ચોપાટી ખાતે થી ટાવર ચોક સુધી 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક જાગૃતિ રેલી' આયોજીત કરવામાં આવી છે.
આ અંગેની વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આવતીકાલે પાંચમી જૂન એટલે કે, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ છે. આ વર્ષની થીમ ‘સમગ્ર વિશ્વમાંથી પ્લાસ્ટિકનો અંત’ રાખવામાં આવી છે. જે પ્લાસ્ટિક પર્યાવરણને કઈ રીતે નુકસાનકારક સાબિત થાય છે, તે દર્શાવે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન વિશેની લોકોમાં જાગૃતિ કેળવાઈ તે હેતુથી પ્લાસ્ટિકના ઉપયોગના ગેરફાયદા અંગે સમજ આપતા બેનર્સ સાથેની રેલી ચોપાટીથી ટાવર સુધી યોજાશે.
કલેક્ટરએ આ અંગે વધુમાં ઉમેર્યું હતું કે, પ્લાસ્ટિક એ બાયોડિગ્રેડેબલ છે. એટલે કે વર્ષો સુધી તેનો નાશ થઈ શકતો નથી. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે. પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરીને પર્યાવરણ બચાવવામાં આપણો ફાળો આપીએ. એમ કહી કલેક્ટરએ આ રેલીમાં સહભાગી થવા માટે નાગરિકોને અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષની થીમ ‘સમગ્ર વિશ્વમાંથી પ્લાસ્ટિકનો અંત’ છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ચલાવવામાં આવેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત ૧૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, પ્લાસ્ટિક નાબૂદી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કાર્યક્રમોમાં સાફ-સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, દરિયાકાંઠાની સફાઈ, શેરી નાટકો, કાપડની થેલીઓનું વિતરણ, સેમિનાર અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામે અમલીકરણ પગલાં જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરાનો નિકાલ, લાખો લોકો સુધી પહોંચેલો જન જાગૃતિનો સંદેશ, અને હજારો નવા રોપાયેલા વૃક્ષો – ગુજરાતની પર્યાવરણ ગાથામાં એક સુવર્ણ પ્રકરણ લખી રહ્યા છે. ગુજરાતનો દરેક નાગરિક પર્યાવરણને બચાવવાના યુદ્ધમાં એક સૈનિક બની રહ્યો પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ઘરે-ઘરે પહોંચ્યું છે. જેમાં ગુજરાતે ખરા અર્થમાં એક 'ગ્રીન લીડર' તરીકે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. પ્લાસ્ટિક નાબૂદીની આ શરૂઆત થઈ છે. ધીમે ધીમે તેને નાબૂદ કરીને ભવિષ્યની પેઢીને સારૂ અને ઉત્તમ વાતાવરણ મળે તે આપણી સામૂહિક જવાબદારી છે. આજના વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીને પર્યાવરણના જતનમાં સહભાગી બનીએ એ આજની નિતાંત આવશ્યકતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ