નવસારી, 3 જુલાઈ (હિ.સ.)- નવસારી જિલ્લામાં બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ વાંસદા રોડ પર મજબૂતીકરણની કામગીરી હાલમાં ચાલુ છે. જેના માટે યોગરાજસિંહ બી. ઝાલા, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, નવસારી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ-33 થી મળેલ સતાની રૂએ, બીલીમોરા- ચીખલી-વાંસદા-વઘઈ રોડ પર બધાજ પ્રકા૨ના વાહનોનો ટ્રાફીક રસ્તા પર કોલેજ સર્કલ થી બંસીધર મેટલ્સની વચ્ચે જમણી બાજુ આગામી તા.31/07/2025 સુધી બંધ કરી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પ્રતિબંધના સમયગાળા દરમ્યાન વૈકલ્પિક માર્ગ ઉપર વાહનોની અવર જવર ડાયવર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
જે અનુસાર નાશિક થી વાંસદા થી રાનકૂવા થી ચીખલી તરફ જવા ફક્ત ભારે માટે વૈકલ્પિક માર્ગ તરીકે રાનકુવા થી ખુડવેલ થી ગોલવાડ થઈ ચીખલી તરફ જશે. રાનકુવા થી ટાંકલ થી દેગામ થી આલીપોર થઈ ચીખલી તરફ જશે. રાનકુવા થી ટાંકલ થી ખારેલ થઈ ચીખલી તરફ જશે.
આ ઉપરાંત બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ ચે.કી.મી.11/0 (કોલેજ સર્કલ) થી ચે.કી.મી 17/0 (બંસીધર મેટલ્સ) ડાબી તેમજ જમણી બાજુ નાના વાહનો (સ્થાનિક રહેવાસીઓ માટે) ચીખલી તેમજ વાંસદા તરફ જવા માટે નાના વાહનો અને સ્થાનિક રહેવાસીઓ માટે વૈકલ્પિક માર્ગ તરીકે બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ ચે.કી.મી 11/0 થી 17/0 ડાબી બાજુનો ટુ-લેન-ટુ-વે-ટ્રાફિક તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિતને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131માં ઠરાવ્યા મુજબની શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે