મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા યોજાશે. આ પ્રતિયોગીતાનો હેતુ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન કરવો તથા પરંપરાગત લોકસંસ્કૃતિને આગળ ધપાવવાનો છે. મહેસાણા સહિત રાજ્યના 29 જિલ્લાઓમાંથી શ્રેષ્ઠ ગણેશ પંડાલોની પસંદગી થશે, જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓ, દેશભક્તિ, સ્વદેશી કન્સેપ્ટ તથા સ્થળની યોગ્યતા જેવા માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ એક શ્રેષ્ઠ પંડાલ પસંદ કરી તેની વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલશે. રાજ્યસ્તરે પસંદ થયેલા પંડાલોમાંથી પ્રથમ ક્રમે આવેલા વિજેતાને રૂ.5 લાખ, બીજા ક્રમે આવેલા વિજેતાને રૂ.3 લાખ, ત્રીજા ક્રમે આવેલા વિજેતાને રૂ.1.50 લાખ તથા અન્ય 5 પંડાલોને પ્રોત્સાહન પેટે રૂ.1 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
મહેસાણા જિલ્લાના સ્પર્ધકોને ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બહુમાળી ભવનમાંથી મેળવી 26 ઓગસ્ટ, 2025 સાંજે 5 વાગ્યા સુધીમાં જમા કરાવવા રહેશે. ઉપરાંત સ્પર્ધકોએ પોતાના પંડાલની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફ્સ તૈયાર કરી પેન ડ્રાઈવમાં 28 ઓગસ્ટ સુધી કચેરી ખાતે જમા કરાવવા ફરજિયાત રહેશે, એવું મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR