ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): હમીરસર તળાવમાં ડૂબી જવાથી થતાં મૃત્યુને ધ્યાને લઈ ભુજ સુધરાઈ દ્વારા કચેરી ખાતે ફાયર શાખાના તરવૈયા તૈનાત રાખવા મહત્વનો નિર્ણય કરાયો છે.
ફાયર શાખા દૂર એટલે સુધરાઈ કચેરીમાં વ્યવસ્થા
ભુજનાં હમીરસર તળાવમાં વધતા જતા ડૂબીને મોતના બનાવો ધ્યાને લઈ સુધરાઈના પદાધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લઈ કચેરી ખાતે બે કર્મી તૈનાત રહે તે માટે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ મુખ્ય અધિકારીને જણાવ્યું હતું. ફાયર શાખા દૂર હોવાથી હમીરસર સુધી પહોંચતા સમય લાગી જાય,જ્યારે સુધરાઈ કચેરીએથી અંતર ઓછું હોતાં આ નિર્ણય લેવાયો હતો,તો આવી ઘટનાના સમય માટે ઈમર્જન્સી (મો.)99090 36750નંબર પણ જાહેર કર્યા છે.
આત્મહત્યા નિવારણ માટે મોબાઈલ એપ્લિકેશન શરુ થશે
આત્મહત્યા નિવારણ માટે વર્ષ 2009થી લોકજાગૃતિ અર્થે કાર્યરત ઓમ ફાઉન્ડેશન દ્વારા આગામી 10સપ્ટે.થી લાઈફ સ્કિલ્સ ગેટકીપર ટ્રેઈનિંગ ફોર સ્યૂસાઈડ પ્રિવેન્શન નામે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરાશે અને આ માધ્યમથી આત્મહત્યા અટકાવવા સ્વયંસેવકોની ટીમ તૈયાર કરાશે,જે લોકજાગૃતિનું કામ કરશે. ઉપરાંત એપ્લિકેશનમાં લોકો પ્રશ્નો પણ પૂછી શકશે, જેના ઉત્તર અપાશે, તેવું સંસ્થાના દેવજ્યોતિ શર્માએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA