પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.): સુરેન્દ્રનગર જિલ્લાના આદરીયાણા પાટડી ગામમાં એક મહિલાએ પોતાના પતિ, સાસુ અને નણંદ સામે દહેજ પ્રતાડનાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન વર્ષ 2008માં થયા હતા. શરૂઆતમાં પતિ સારું વર્તન કરતાં, પરંતુ સાસુ અને નણંદની ચઢામણીથી તે શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા.
28 એપ્રિલ 2023ના રોજ સવારે પતિએ મહિલાને માર માર્યો હતો. દરમિયાન સાસુ અને નણંદે પણ મહિલાને અપમાનિત કરતાં કહ્યું કે તે યોગ્ય કરિયાવર લાવી નથી. ત્રણેય આરોપીઓએ મહિલાને પાંચ લાખ રૂપિયા રોકડા દહેજ તરીકે લાવવાની માગણી કરી અને નહીં લાવે તો સુખથી રહેવા નહીં દેવાની ધમકી આપી.
આ તમામ પ્રતાડનાના કારણે મહિલાને તેના બાળકો સાથે ઘરમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498(ક), 323, 114 તથા દહેજ પ્રતિબંધિત અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ