ભુજ - કચ્છ, 23 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી તે હેતુથી ગણેશ પંડાલ સ્પર્ધા યોજવામાં આવી છે.
ગુજરાતના 29 જિલ્લા માટે યોજાશે સ્પર્ધા, 5ને મળશે આશ્વાસન પુરસ્કાર
ગુજરાતના કચ્છ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત 29 જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ 5(પાંચ) આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
જેમાં (1) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (2) સામાજિક સંદેશ (3) ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી) (4) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (5) સ્વદેશી (6) પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણ રૂપ ન થાય ) (7) સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી (8) ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનારી પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે.
પ્રથમ પંડાલને પાંચ લાખનો રોકડ પુરસ્કાર
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં 29 જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ 3 (ત્રણ) વિજેતા તેમજ અન્ય 5(પાંચ)ને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવશે.
પસંદગી પામેલા 1 થી 3 ક્રમે આવેલા ગણેશ પંડાલના વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમના વિજેતાને રૂ.5,00,000, દ્રિતીય ક્રમના વિજેતાને રૂ.3,00,000 અને તૃતીય ક્રમના વિજેતાને રૂ. 1,50,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.1,00,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
28મી ઑગસ્ટ સુધી ભુજમાં ફોર્મ મેળવીને જમા કરાવવાના રહેશે
શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પંડાલની વીડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી પેન ડ્રાઈવની સાથે ફોર્મ જમા કરવાનું રહશે. આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં.411, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતેથી મેળવી તા.28/08/2025 સુધીમાં પરત જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ સ્પર્ધામાં કચ્છના ગણેશ પંડાલના આયોજકોને ભાગ લેવા અનુરોધ છે તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA