સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.)-સુરતમાં ગણેશોત્સવની ધૂમધામ વચ્ચે અડાજણ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. ગણેશ આગમન યાત્રા દરમિયાન ભીડના ભારથી સ્ટેજ તૂટી પડ્યું હતું, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી. અચાનક થયેલી આ ઘટનાથી ભક્તોમાં ચીચીયારી મચી ગઈ અને ગભરાટ સાથે ભાગદોડ મચી હતી.
પ્રાઈમ આર્કેડ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા આગમન યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સ્ટેજ પર ક્ષમતા કરતાં વધારે લોકો ચડી જતા તે ધરાશાયી થઈ પડ્યું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આયોજકો વારંવાર સુરક્ષાના નિયમોની અવગણના કરે છે. થોડાં વર્ષો પહેલાં પણ અડાજણમાં ગણેશ આગમન દરમિયાન લાઇટિંગ ટાવર તૂટી પડ્યો હતો. તેમ છતાં કોઈ શીખ નહીં લેવાતા ફરી એક વાર ભીડ વચ્ચે દુર્ઘટના સર્જાઈ છે.
આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને હવે સુરક્ષા વ્યવસ્થા તથા આયોજકોની બેદરકારીને લઈને ચર્ચા ગરમાઈ છે. ભક્તોમાં રોષ સાથે તંત્ર સામે માગ ઉઠી રહી છે કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે