ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ધરમપુરની સરકારી લાઈબ્રેરીમાં વીર કવિશ્રી નર્મદની 192મી જન્મજયંતીની ઉજવણી
વલસાડ, 25 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને પુસ્તક પરબ વલસાડના સંયુક્ત ઉપક્રમે ધરમપુરના સરકારી તાલુકા પુસ્તકાલયમાં વીર કવિ નર્મદની 192મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી. ધરમપુર નગરપાલિકા ગ્રંથાલયના પ્રાંગણમાં
વલસાડ


વલસાડ, 25 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને પુસ્તક પરબ વલસાડના સંયુક્ત ઉપક્રમે ધરમપુરના સરકારી તાલુકા પુસ્તકાલયમાં વીર કવિ નર્મદની 192મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી.

ધરમપુર નગરપાલિકા ગ્રંથાલયના પ્રાંગણમાં વીર કવિ નર્મદની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ત્યાંથી રેલીના રૂપમાં પદયાત્રા કરવામાં આવી હતી. ધરમપુરના સરકારી તાલુકા પુસ્તકાલયમાં યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે કવિ નર્મદ રચિત ગુજરાતનું રાષ્ટ્રગાન જય જય ગરવી ગુજરાત, દીસે અરુણું પ્રભાત રજૂ થયું હતું. કાર્યક્રમના પ્રારંભે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના સંસ્થાપક નીલમભાઈ પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના સંયોજક હાર્દિકભાઈ પટેલે બંને વક્તા ડૉ.સંજયભાઈ પટેલ અને અંકિતભાઈ દેસાઈનો પરિચય કરાવ્યો હતો.

ડૉ. સંજયભાઈ પટેલ (ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર) એ નવપ્રસ્થાનકાર નર્મદ વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. સાહિત્યના વિવિધ ક્ષેત્રે કેડીઓ કંડારનાર નર્મદનો સાક્ષાત્કાર જુસ્સા સાથે કરાવ્યો હતો. તેમના વક્તવ્યમાં કવિ નર્મદની પ્રકૃતિ અને પ્રણયના કાવ્યોની વાતો પણ ઝીલાઈ આવી હતી. આપણા પ્રાણવંતા પૂર્વજ, અર્વાચીનોમાં આદ્ય, સમયમૂર્તિ વિશે માહિતગાર થવાનું સૌને ગમ્યું હતું. વાપીના જાણીતા લેખક અંકિતભાઈ દેસાઈના વક્તવ્યમાં “સુધારાનો સેનાની” નર્મદ વિશે વિગતે વાત થઈ હતી. તત્કાલીન સમયના સામાજિક દૂષણની સામે નર્મદે બંડ પોકાર્યો. સુધારો પ્રબોધ્યો જ નહીં, પણ આચર્યો પણ, આવી અનેક વાતો ઉદાહરણ સહિત જોશીલી શૈલીમાં રજૂ કરતા શ્રોતાઓ પણ ધ્યાનમગ્ન બન્યા હતા.

સમગ્ર કાર્યક્રમના સંચાલન દરમિયાન ડૉ. આશા ગોહિલે કવિ નર્મદની કાવ્યપંક્તિઓ રજૂ કરી હતી, પરિણામે સમગ્ર નર્મદ ઉજાગર થતાં રહ્યા હતા. આમ, વીર કવિ નર્મદની જન્મજયંતી સાચા અર્થમાં ‘‘વિશ્વ ગુજરાતી દિવસ’’ની ઉજવણી બની રહી હતી.

આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંક મોદી, સરકારી તાલુકા પુસ્તકાલયના લાઇબ્રેરીયન પૂનમ ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ, ધરમપુર નગરના મોભીઓ તથા નિમેષ ભટ્ટ, ભાવિન પટેલ ઉપરાંત કપરાડા, પિંડવળ, કાજણરણછોડથી સાહિત્યરસિકોએ હાજરી આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. વનરાજ કોલેજ, ધરમપુર તથા કુંવરબા કન્યા છાત્રાલય, આસુરાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો રસપૂર્વક આનંદ સાથે માણ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande