પાટણ, 26 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ચાચરીયા ચોકમાં આવેલાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના મંદિરે, ચાલીસ દિવસના ચાલીયા સાહેબનું 11મું પરંપરાગત સમાપન ધામધૂમથી કરવામાં આવ્યું. મંદિરમાં પાંચ માટલીઓ શ્રદ્ધાપૂર્વક સજાવવામાં આવી હતી અને પૂજનવિધિ બાદ તેને નદીના વહેતા પાણીમાં પધરાવવામાં આવી હતી. ઝુલેલાલ ભગવાનને જલદેવતા તરીકે પૂજવામાં આવે છે અને તેઓને વરુણદેવ, આયોલાલ જેવા નામોથી ઓળખવામાં આવે છે.
આ ઉપવાસ દરમ્યાન 63 વ્રતધારી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. દરેક વ્રતધારીએ 40 દિવસમાં 120 વાર આહુતિ આપી હતી, જેના પરિણામે કુલ 7560 આહુતિઓ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી હતી. આહુતિમાં મીઠાભાત, ચણા, કાજુ, બદામ, ઈલાયચી તથા ફળફળાદિનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સજાવટ માટે માટલીઓને શ્રીફળ, અબીલ-ગુલાલ, હાર, અત્તર અને તાજા ફૂલોથી શણગારવામાં આવી હતી. પૂજનવિધિ નરેશભાઈ પોહાણી અને જય પોહાણી દ્વારા વિધિવિધાન સાથે કરાવવામાં આવી હતી. યજમાન તરીકે ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર બેબાશેઠ પરિવારે સેવા આપી હતી.
અંતે પદમાબેન આસનદાસ પોહાણી દ્વારા તમામ 63 વ્રતધારીઓને પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સિંધી ઢોલના તાલે ઉત્સાહભેર ગરબા રમાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રમુખ ખેમચંદભાઈ પોહાણી, ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર અને મંત્રી રાજુભાઈ ઠક્કરે સંભાળ્યું હતું. આ ચાલીસા ઉપવાસ ભારતભરના અનેક શહેરોમાં સિંધીઓ દ્વારા શ્રદ્ધાભક્તિથી ઉજવવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ