ગાંધીનગર, 26 ઓગસ્ટ (હિ.સ.): ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજની આજે સવારે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી. મંત્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૦ થી ૩૦૦ મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે ધરોઇ બંધમાંથી તા.૨૩ ઓગસ્ટ-૨૦૨૫ થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ધરોઇ બંધના નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે. હાલમાં ધરોઇ બંધની જળસપાટી ૬૧૭.૨૨ ફૂટ છે તથા ૮૨ ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. ધરોઇ બંધમાં પાણીની આવક ૪૨,૬૮૧ ક્યુસેક અને જાવક ૩૮,૯૭૬ ક્યુસેક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ