મહેસાણા, 26 ઓગસ્ટ (હિ.સ.): અંબાજી ધામનો ભાદરવી પૂનમ મેળો દર વર્ષે લાખો ભક્તોને ભક્તિભાવથી પદયાત્રા દ્વારા માતાના દર્શનાર્થે આકર્ષે છે. આ વર્ષે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના એન.એસ.એસ. વિદ્યાર્થીઓએ “પ્લાસ્ટિકમુક્ત પદયાત્રા”નો સંકલ્પ લઈને એક અનોખો સંદેશ આપ્યો છે. તેમના વિડીયો સંદેશમાં દર્શાવાયું છે કે યાત્રા દરમિયાન સેવા કેમ્પો અને સ્ટોલ પર પ્લાસ્ટિક ગ્લાસ, થાળી, વાટકી વગેરેનો વપરાશ કચરો વધારી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેના ઉકેલરૂપે વિદ્યાર્થીઓએ પદયાત્રીઓને પોતાનાં ઘેરથી સ્ટીલના ગ્લાસ અને વાટકીઓ સાથે લાવવાની અપીલ કરી છે, જેથી યાત્રા સ્વચ્છ, પવિત્ર અને પર્યાવરણમૈત્રી બની શકે.
યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે આ પહેલને સરાહનીય ગણાવતા કહ્યું કે આજના યુવાનો સમાજ પ્રત્યેની જવાબદારીને સમજતા થયા છે. વિદ્યાર્થીઓનો આ પ્રયત્ન માત્ર અંબાજી મેળાને જ નહીં પરંતુ સમગ્ર સમાજને પર્યાવરણપ્રેમી જીવનશૈલી તરફ દોરી શકે છે. faith (શ્રદ્ધા) અને devotion (ભક્તિ)નું પ્રતિક રહેલી આ પવિત્ર પદયાત્રા હવે પર્યાવરણપ્રેમનું પ્રતિક પણ બનશે, જે આવનારા વર્ષોમાં લાખો ભક્તોને “ધર્મ અને પ્રકૃતિના સંગમ”નો સાચો અર્થ સમજાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR