પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર, જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે હંમેશાં આગેવાન રહ્યું છે. આ સંસ્કારને આગળ ધપાવતા પ્રકૃતી ધ યુથ સોસાયટી અને ડો. સિદ્ધાર્થ ગોકાણી તથા તેમની ટીમ છેલ્લા આઠ વર્ષથી “મીટી કે ગણેશા” નામક એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરે છે. આ આયોજન નો પ્રોફિટ – નો લોસ ધોરણે કરવામાં આવે છે, જેમાં માટીની બનેલી ભગવાન શ્રી ગણેશની ઈકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓનું વહેંચાણ અને પ્રદર્શન થાય છે.
ડો. સિદ્ધાર્થ ગોકાણી જણાવે છે કે પીઓપીની મૂર્તિઓનું દરિયા અને નદીઓમાં વિસર્જન થતા પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પીગળતી નથી, જેના કારણે જળચર સૃષ્ટિ અને જળપ્રદૂષણમાં વધારો થાય છે. સાથે જ મૂર્તિઓના ખંડિત થવાથી ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે. વિપરીત રીતે, માટીની બનેલી ગણેશ મૂર્તિઓ સંપૂર્ણ રીતે જળમાં વિસર્જિત થઈ જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. આ ઉપરાંત, વિસર્જન પછી મળતી માટીનો પુનઃઉપયોગ કરી શકાય છે અને સદા માટે સાથે રાખી શકાય છે. પોરબંદરના લોકો પણ માટીની મૂર્તિને પ્રાથમીકતા આપીને પર્યાવરણ જાળવણીમાં પોતાનુ મહત્વપુર્ણ યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકાર પણ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ રહીને આવા ઈકો-ફ્રેન્ડ્લી ઉપક્રમોને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને 'ઓપરેશન સિંદૂર'ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનના 'સ્વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી જેવી ચોક્ક્સ થીમ આધારિત 'શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025' યોજવામાં આવ્યુ છે. જેનો ઉદેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya