ગીર સોમનાથ 10 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર ગઢડાના દ્રોણ ગામમાં એક સિંહબાળને કૂવામાંથી સફળતાપૂર્વક બચાવવામાં આવ્યું છે. ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ ઠુંમરની વાડીની આસપાસ બે સિંહણ અને તેમના ત્રણ બાળકોનો વસવાટ છે. આજે એક વર્ષથી નાની ઉંમરનું માદા સિંહબાળ રમતાં-રમતાં વાડીના ખુલ્લા કૂવામાં પડી ગયું. વાડી માલિક ઘનશ્યામભાઈને જાણ થતાં તેમણે તાત્કાલિક પગલાં લીધા. તેમણે એક ખાટલામાં દોરી બાંધીને કૂવામાં ઉતાર્યો, જેના પર સિંહબાળ બેસી ગયું. ઘટના સમયે બે સિંહણ અને બે સિંહબાળ પણ આસપાસ જોવા મળ્યા હતા. સરપંચ જોરુભાઈ મકવાણાને જાણ કરવામાં આવી, જેમણે તરત જ જસાધાર વન વિભાગના RFO એલ.બી. ભરવાડને સૂચિત કર્યા.વન વિભાગની રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને સિંહબાળને સલામત રીતે બહાર કાઢ્યું. તેને તપાસ માટે એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યું. RFOએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ સિંહબાળને રાત્રિ સુધીમાં તેના જૂથમાં મુક્ત કરવામાં આવશે. હાલમાં સિંહબાળના જૂથની સિંહણો વાડીની આસપાસ જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ