અમરેલી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): બારાબંકી, ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ પ્રગતિશીલ ખેડૂત તથા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રામશરણ વર્મા આજે અમર ડેરીની મુલાકાતે આવ્યા હતા. તેમણે સંઘના કાર્યરત હનીફાર્મિંગ પ્લાન્ટ તેમજ મધમાખી તાલીમ ભવનની મુલાકાત લીધી હતી. વર્માજીએ ડેરી સંચાલન, મધ ઉત્પાદન અને તાલીમ કાર્યક્રમોની વિગતવાર જાણકારી મેળવી તથા અમર ડેરીના પ્રયત્નોની પ્રશંસા કરી.
આ અવસરે IFFCO અને NCUIના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્માજીનું હાર્દિક સ્વાગત કરી અમર ડેરીની વિવિધ યોજનાઓ અને ખેડૂતોના હિતાર્થે ચાલી રહેલા પ્રયોગોની માહિતી આપી. સાથે જ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર. એસ. પટેલ, ધીરુભાઈ વાલા તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વર્માજીએ હનીફાર્મિંગ પ્લાન્ટના કાર્ય અને મધમાખી તાલીમ ભવનની સુવિધાઓ નિહાળી પ્રશંસનીય પ્રતિસાદ આપ્યો. તેમનું માનવું હતું કે આવી પહેલો ખેડૂતોને વૈકલ્પિક આવકના સ્ત્રોત પૂરા પાડવામાં મદદરૂપ બનશે અને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનાવશે.
અમર ડેરીની આ મુલાકાત સૌ માટે ગૌરવપૂર્ણ ક્ષણ રહી હતી અને ભવિષ્યમાં ખેડૂતોને વધુ ટેકનોલોજી આધારિત પ્રવૃત્તિઓ તરફ દોરી જવાની પ્રેરણા પુરવાર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai