જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૫' કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે સ્વચ્છોત્સવ-૨૦૨૫ અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાએ તમામ હોમગાર્ડઝના સભ્યોને દેશ, રાજ્ય, શહેર, મહોલ્લા, શેરીઓ અને ઓફિસ સહિત તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવ્યા હતા.
તેમણે હોમગાર્ડઝને ફરજ પર હોય ત્યારે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ માર્ગદર્શન આપ્યું હતું; જો કોઈ નાગરિક જાહેરમાં ગંદકી કરતાં જણાય તો તેને પ્રેમથી સ્વચ્છતા રાખવા માટે સમજ કરવી.
આ ઉપરાંત, રાષ્ટ્રીય તિરંગાનું માન જાળવી રાખવા અંગે વિશેષ ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે રસ્તામાં, ઓફિસમાં કે ઘર પર તૂટેલા કે રંગ ઉતરેલા તિરંગાઓ દેખાય તો જગ્યાના માલિકને સમજાવીને તેને માનભેર ઉતારી યોગ્ય રીતે નિકાલ કરવાની સમજણ આપવી. આ તકે હોમગાર્ડઝ સભ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, ભારત સરકારના 'સ્વચ્છતા હી સેવા ૨૦૨૫' અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે.આ દરમિયાન સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt