- કૃષિ, ડેરી, સહકારી ક્ષેત્રે અચ્છે દિન.. જી.એસ.ટી. દરમાં ઘટાડાથી ગ્રાહકોને સીધો લાભ થતા વેપારીઓ ખુશખુશાલ
રાજકોટ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ તાજેતરમાં કરેલા જી.એસ.ટી. દર માં ઘટાડાના કારણે કરોડો ગ્રાહકો, વેપારી, ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. સાથોસાથ કૃષિ અને સહકારી ક્ષેત્રે અનેક સુધારાલક્ષી અમલીકરણ થકી કૃષિ, ડેરી,સહકારી ક્ષેત્રે અચ્છે દિન આવતાં રાજકોટના બેડી સ્થિત શ્રી ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના 500 જેટલા વેપારી અને ખેડૂતોએ પ્રધાનમંત્રીનો આભાર માનતા પોસ્ટકાર્ડ લખી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ તકે ઉપસ્થિત ખેડૂતોએ અને વેપારીઓએ કૃષિ ક્ષેત્રેને મજબૂત બનાવવા માટે આપેલા સહાય પેકેજ, વેરહાઉસ નિર્માણ માટે સરકાર તરફથી મળેલી સહાય, યાર્ડમાં આધુનિક સુવિધાઓ, ખેડૂત કલ્યાણ યોજનાઓ, પ્રોસેસિંગ યુનિટની સ્થાપનામાં આપેલી સહાયથી ખેડૂતને મળતા ફાયદાઓ, કૃષિ ક્ષેત્રે આધુનિકરણ, ખેડૂત મિત્રોને પોષણક્ષમ ભાવ, કૃષિ ઉત્પાદનના સંગ્રહ માટે આધુનિક ગોડાઉન સહાય સહીત અનેક યોજનાકીય કામગીરીથી ખેડૂતોને અનેકગણો ફાયદો કરાવવા બદલ પોસ્ટકાર્ડ દ્વારા આભાર પત્ર લખી તેમની લાગણી વ્યક્ત કરી હતી.
બેડી યાર્ડ ખાતે કરિયાણાનો વ્યાપાર કરતા ધવલ ચંદુભાઈ અજાણી જણાવે છે કે, જી.એસ.ટી. ઘટાડાથી ઘી, ડ્રાયફ્રૂટ સહીત જીવન જરૂરિયાતની કરિયાણાની અનેક વસ્તુના ભાવમાં ઘટાડો થતા હાલ ઘરાકી વધી છે. લોકોની ખરીદશક્તિ વધતાં અમારો વેપાર વધ્યો છે. ગ્રાહકોના વધારાથી અમારા જેવા નાના વેપારીઓને સીધો લાભ મળી રહ્યો હોવાનું તેમણે જણાવી આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ