
અમદાવાદ,14 જાન્યુઆરી (હિ.સ.)-ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભૂકંપની હલચલ ફરી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં કુલ ચાર હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી ક્યાંય જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
મકર સંક્રાંતિના દિવસે આજે વહેલી સવારે 02:23 વાગ્યે એક જ સમયે બે વિસ્તારોમાં ભૂકંપના કંપન નોંધાયા હતા. સૌરાષ્ટ્રના અમરેલી નજીક 2.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 37 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દિશામાં જમીનથી 11 કિલોમીટર ઊંડાઈએ હતું. તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક 1.6 તીવ્રતાનો અત્યંત હળવો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વ દિશામાં માત્ર 1.6 કિલોમીટર ઊંડાઈએ હતું.
આ પહેલાં ગઈકાલે મંગળવારે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિ જોવા મળી હતી. વહેલી સવારે 03:05 વાગ્યે કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી 41 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં 2.7 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત પોરબંદરથી 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સવારે 09:58 વાગ્યે પણ 2.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ રીતે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ સિસ્મિક ઝોનમાં હળવા કંપન નોંધાતા ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે