


- અમદાવાદ એરપોર્ટ ખાતે શ્રી નીતિન નવીનજીનો ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન તેઓના ત્રણ દિવસના પ્રથમ ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદના ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઇ શાહ સહિત ભાજપા આગેવાનઓ અને અગ્રણીઓએ તેઓને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતાં. અમદાવાદ એરપોર્ટ ખાતે નીતિન નવીનને આવકારવા ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપા કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યાં હતાં. આ માહિતી ભાજપ મીડિયા વિભાગ એ આપી.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીના લાલ નરેન્દ્રભાઇ મોદી આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છે તે ધરતીને નમન કરું છું. આ ધરતી પરથી ગાંધીજીએ અહિંસાનો વિચાર આપ્યો જેના બળે પૂર્ણ વિશ્વમાં ભારતની અલગ ઓળખ છે. ભારતને એક કરવાનું બીડું જેમણે ઉપાડ્યું એવા સરદાર પટેલનું કામ સૌ ગુજરાતીઓને ગૌરવાંવિત કરે છે. ગુજરાતે અનેક મહાપુરુષ દેશને આપ્યા છે જેમણે દેશની સંસ્કૃતિ અને વિરાસતને વધારી છે. 21 મી સદીનું ભારત વિકાસની દિશામાં વિરાસત સાથે આગળ વધી રહ્યું છે તેનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. આજ ગુજરાતની ધરતીના પુત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપાને સૌથી મોટો વિસ્તાર આપ્યો છે. કાર્યકર્તાઓના પરિશ્રમ,સંઘર્ષ અને પુરુષાર્થથી આજે ગુજરાત વિકસીત ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે.
નીતિન નવીનએ જણાવ્યું હતું કે, ગુજરાતે લાંબા સમયથી ભાજપાની સરકાર હેઠળ વિકાસનો સકારાત્મક અનુભવ કર્યો છે. ભાજપાના નેતૃત્વગણે ગુજરાતના એક એક ગામડા અને નગર સુધી વિકાસની યોજનાઓ પહોંચાડી છે અને જનજનને વિકાસયાત્રા સાથે જોડ્યા છે. આજે ગુજરાત માત્ર દેશને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને દિશા આપી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ અને દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે. તેમણે ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે જનતાના આશીર્વાદના બળ પર જ મોદીજી દેશને સતત પ્રગતિના માર્ગે આગળ લઈ જઈ રહ્યા છે.
નીતિન નવીનએ જણાવ્યું કે, ગુજરાતના ભાઈ-બહેનોએ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ગુજરાતને આંદોલનની જનની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહીં આંદોલન ફક્ત પરિવર્તન માટે જ નહીં, વિકાસ માટે અને નવી ઊર્જાના સંચાર માટે પણ થાય છે. ગુજરાતની જનતા ફક્ત રાજ્ય માટે સરકાર પસંદ કરતી નથી, પરંતુ એવા નેતૃત્વને પસંદ કરે છે જેના બળ પર આજે આખો દેશ આગળ વધી રહ્યો છે. આપણે સૌએ વડાપ્રધાનશ્રીના વિચારોને અનુરૂપ જનતા સાથે સતત જોડાયેલા રહીને સેવાને પોતાનો ધર્મ માની કાર્ય કરવાનું છે. વડાપ્રધાનશ્રી જે ભાવ સાથે જનસેવામાં જોડાયેલા રહ્યા છે.
નીતિન નવીનએ આવનારા વર્ષ 2027 અને 2029ને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે કેટલીક એવી તાકતો ફરી માથું ઊંચું કરી રહી છે, જેઓને દેશની સુરક્ષા કે સામાન્ય જનતા સાથે કોઈ લગાવ નથી અને જે ફક્ત પોતાના હિત માટે કાર્ય કરે છે. તેમણે જણાવ્યું કે ભાજપાના કાર્યકર્તાઓ ફુલ ટાઇમ પોલિટિશિયન છે, જે સતત જનતા વચ્ચે રહીને કાર્ય કરે છે. ચૂંટણી સમયે કેટલાક પાર્ટ-ટાઇમ રાજકારણીઓ જનતા વચ્ચે આવે છે, પરંતુ આપણે જનતા સાથે એવો સજીવ અને મજબૂત સંબંધ સ્થાપિત કરવો જોઈએ કે આવા પાર્ટ-ટાઇમ રાજકારણીઓ માટે કોઈ જગ્યા ન રહે. આ પ્રસંગે ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમ યોજવા બદલ તમામ કાર્યકર્તાઓ અને પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને “મિલેનિયમ રાષ્ટ્રીય અધ્યક્ષ” તરીકે સંબોધ્યા છે. તેમણે ઉમેર્યું કે નીતિન નવીન એવા અધ્યક્ષ છે, જે બાળપણથી આજ સુધી બદલાતા ભારતના સાક્ષી રહ્યા છે. નીતિન નવીન પાસે સરકાર અને સંગઠન બંનેનો વ્યાપક અનુભવ છે. તેઓ સાલસ, સહજ અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. અનેક રાજ્યોના પ્રભારી તરીકે તેમણે સફળ અને અસરકારક ભૂમિકા નિભાવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમનું નામ જાહેર થયું ત્યારે ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રીક પાર્ટીની આ જ વિશેષતા અને તાસીર છે કે અહીં બુથ લેવલનો કાર્યકર્તા પણ પોતાના સમર્પણ, કાબેલિયત અને ક્ષમતાના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો અવકાશ ધરાવે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી ફક્ત રાજકીય પાર્ટી નથી, પરંતુ રાષ્ટ્રસેવા, વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત પ્રેરણાદાયી ચળવળ છે. પાર્ટીના કોઈપણ અભિયાન, પ્રવાસ કે લોકસંપર્ક કાર્યક્રમમાં ગુજરાત ભાજપે હંમેશા ઇનોવેટિવ એપ્રોચ રજૂ કર્યો છે. સરકાર અને સંગઠનના તાલમેલ અને સંકલનથી ભાજપાની “પાર્ટી વિથ ડિફરન્સ” તરીકેની છબી જનમાનસમાં વધુ ઉજ્જવળ બની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુવાનોને સમર્પિત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું માર્ગદર્શન અને નેતૃત્વ મળવાથી પાર્ટી વધુ સંગઠિત બનશે, યુવાનોને નવી દિશા મળશે અને દેશની વિકાસયાત્રામાં નવી ઉર્જાનો સંચાર થશે. કુશળ સંગઠનકાર તરીકે તેમના વિચારો અને અનુભવનું ભાથું ગુજરાત ભાજપાના પ્રત્યેક કાર્યકર્તા માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.
જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નીતિન નવીનનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની આ ગૌરવશાળી ભૂમિ મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. આ એ જ પવિત્ર માટી છે જેણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેવું નેતૃત્વ આપ્યું છે, જેમણે 'ગુજરાત મોડલ' દ્વારા વિશ્વને વિકાસની નવી રાહ ચીંધી છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષનું હાર્દિક સ્વાગત કરતા ઉમેર્યું કે, નીતિન નવીનજીએ રાજનીતિને સત્તાનું સાધન નહીં પણ 'સંસ્કાર અને સંકલ્પ'ની યાત્રા માની છે. એક સામાન્ય કાર્યકર્તાથી લઈને વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની તેમની સફર તમામ કાર્યકર્તાઓ માટે ગૌરવ અને પ્રેરણા સમાન છે. સંગઠન એ ભાજપાની આત્મા છે અને કાર્યકર્તા તેની શક્તિ છે, ત્યારે આ 3 દિવસીય પ્રવાસ દરમિયાન અધ્યક્ષના બહોળા અનુભવ અને કાર્યકુશળતાનું માર્ગદર્શન ગુજરાતના સંગઠનને નવી ઊર્જા પૂરી પાડશે.
વધુમાં તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતની 6.5 કરોડ જનતા અને લાખો કાર્યકર્તાઓએ છેલ્લા 30 વર્ષથી વિપક્ષી નકારાત્મકતા અને ભ્રષ્ટાચારના 'કાળા પંજા'ના પડછાયાને ગુજરાતની તિજોરી પર પડવા દીધો નથી. રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવાના સંકલ્પ સાથે તડકો કે છાયડો જોયા વગર દિવસ રાત કાર્યરત એવા ગુજરાત ભાજપાના લાખો કાર્યકર્તાઓ વતી તેઓએ નીતિન નવીનને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ