
ગાંધીનગર,21 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, ખાતે મીડિયાને સંબોધન કરવા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારત બનાવવાની દિશામાં આગળ લઈ જઈ રહ્યાં છે. ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ૫ ટ્રિલિયન ડોલરની વિશ્વની ત્રીજી મોટી ઇકોનોમિ બનવા તરફ સતત આગળ વધી રહ્યું છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, હાલમાં, રાજધાની દિલ્હી ખાતે India AI Impact Summit ચાલી રહી છે જેમાં ફક્ત ભારત જ નહિ, વૈશ્વિક ટેક લીડર્સ, 100 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો અને ડેલીગેટસ પણ ભારતના મહેમાન બન્યા છે. વિશ્વની મોટી ટેક કંપનીઓના વડાઓએ પણ આ આયોજનમાં હાજરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, AI આવનાર વર્ષોમાં ભારતનું ભાગ્ય અને ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે.
જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, ભારતની વધતી વૈશ્વિક તાકાત અને પ્રગતિનું દર્દ ચીન અને પાકિસ્તાનને હોય તો તે સમજી શકાય પણ અહી તો આનાથી કોંગ્રેસને તકલીફ થઈ રહી છે અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસ દેશની પ્રગતિ જોઈ નથી શકતી. રાહુલ ગાંધીના ઇશારે ગઇકાલે દિલ્હી ખાતે AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા શરમજનક અને નિમ્નસ્તરના કૃત્ય માટે દેશના 140 કરોડ નાગરિકો ક્યારેય માફ નહિ કરે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની કબર જાતે ખોદી રહ્યા છે. આવી આંતરરાષ્ટ્રીય સમિટમાં ટી-શર્ટ કાઢીને શરમજનક વ્યવહાર કરી કરી દેશની આઝાદીમાં જેમનું યોગદાન છે એવા રાષ્ટ્રવાદી પુરુષો મહાત્મા ગાંધીજી અને ચંદ્રશેખર આઝાદજીના પહેરવેશને તેની સાથે જોડી અપમાનિત કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ