

પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન અને સૂચના હેઠળ શહેરમાં આગ અકસ્માતની ઘટનાઓ દરમિયાન નાગરિકોને સ્વબચાવ અંગે યોગ્ય જાણકારી અને તાલીમ પ્રાપ્ત થાય તે હેતુસર ફાયર સેફ્ટી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેરની શાળાઓ, કોમર્શિયલ બિલ્ડીંગો તથા હોસ્પિટલોમાં સમયાંતરે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી આગ જેવી આપત્તિની પરિસ્થિતિમાં ગભરાટ વિના યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરી શકાય. તાજેતરમાં વધુ એક તાલીમ કાર્યક્રમનું આયોજનu આઈ સી આઈ સી આઈ બેંક ખાતે કરવામાં આવ્યું હતું. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારી અભય મહેતાની ટીમ દ્વારા સ્ટાફને આગ અકસ્માત સમયે રાખવાની તકેદારી, તાત્કાલિક અપનાવવાના પગલાં, ઈમરજન્સી ઇવેક્યુએશન પ્રક્રિયા, આગ પર પ્રાથમિક કાબૂ મેળવવાની પદ્ધતિ તેમજ આગ બચાવ સાધનો (ફાયર એક્સટિંગ્વિશર વગેરે)ના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન બેંકના સ્ટાફે સક્રિય ભાગ લઈ પ્રાયોગિક અભ્યાસ દ્વારા જરૂરી કુશળતા વિકસાવી હતી. આગ જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે આવી તાલીમ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતા આવા જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો આગામી સમયમાં પણ નિયમિત રીતે યોજવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya