
મેહસાણા, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-શનિવારે વહેલી સવારે ઉંઝા-મેહસાણા હાઈવે પર ઉનાવા ગામ પાસે હોટલ કોમફી સામે એક કરુણ અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત નિપજ્યાં છે.
મળતી માહિતી મુજબ, કુમાવત પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપી ઇકો કાર દ્વારા અમદાવાદ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઉનાવા નજીક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ઝડપથી ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીના પરખચ્ચા ઉડી ગયા હતા.
આ દુર્ઘટનામાં બે પુરુષ, એક મહિલા અને એક માસૂમ બાળક સહિત કુલ ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. મૃતકોની ઓળખ રામલાલ લખાજી કુમાવત, કોમલ મદનલાલ કુમાવત, કૈલાશભાઈ રામલાલ કુમાવત અને એક બાળક તરીકે થઈ છે. જ્યારે કારનો ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ઉનાવા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત રહ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે આવેલ આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે