
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)જલારામ બાપા મંદિર ખાતે જલારામ બાપા ભજન સત્સંગ મંડળ દ્વારા ભજન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપર કચ્છ, દિયોદર, થરા, ભીલડી, ધાનેરા, ડીસા, પાલનપુર, હિંમતનગર, ભાભર, મહેસાણા, પાટણ અને શિહોરી સહિતના વિવિધ મંડળોના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભજનો અને રામધુનની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
હારીજનું ભજન સત્સંગ મંડળ દર ગુરુવારે અલગ-અલગ સોસાયટીઓ તથા યજમાનોના આમંત્રણ મુજબ તેમના નિવાસસ્થાને ભજન કરવા જાય છે. ભેટરૂપે મળતા નાણાંનો ઉપયોગ અબોલ પશુ-પક્ષીઓ, ગૌશાળા અને પાંજરાપોળ માટે કરવામાં આવે છે.
ઉત્સવ દરમિયાન પધારેલા તમામ ભજન મંડળો તથા ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી સેવા આપતી જય જલારામ સેવા સમિતિનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સમરસતા સાર્વજનિક ભોજન પ્રસાદનું આયોજન થયું હતું, જેમાં ત્રણ હજારથી વધુ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ